ઉદ્ધવ સરકાર ઝાઝું ટકવાની નથીઃ નારાયણ રાણે
શિવસેનાના ઔરંગાબાદ એકમમાં તંગદિલી અને રાજ્ય સરકારમાં શિવસેનાના પ્રધાનના રાજીનામાના સમાચાર વચ્ચે બીજેપીના રાજ્યસભાના સભ્ય નારાયણ રાણેએ ગઈકાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ઝાઝું ટકવાની નથી. સોલાપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં નારાયણ રાણેએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારની સ્થાપનાને એક મહિનો વિતી ગયા છતાં હજુ પ્રધાનોને ખાતાં ફાળવાયા નથી. પ્રધાનોને એમને કોઇ મંત્રાલય ફાળવાયું નહીં હોવા છતાં બંગલા અને ઑફિસ કૅબિન્સનો કબજો લઈ લીધો છે.’
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષ પ્રમુખને વહીવટી કામગીરીનો કોઈ અનુભવ નથી. શિવસેનાના એક પ્રધોને પ્રધાન મંડળમાંથી રાજીનામુ આપ્યાની અફવા છે. આ શરૂઆત છે. હજુ વધુ વિધાનસભ્યો રાજીનામા આપશે.આ સરકારની આવરદા લાંબી નથી.’