વિધાનસભામાં વિશેષાધિકારના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે હુંસાતુંસી
ગયા વર્ષે વિધાનભવનમાં વિધાનસભાના સ્પેશ્યલ સેશન દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભામાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે સરકાર અને બીજેપીના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષ વચ્ચેની તમામ ચર્ચાઓમાં ન્યુઝ-ઍન્કર અર્નબ ગોસ્વામી અને અભિનેત્રી કંગના રનોટ વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહી કેન્દ્રસ્થાને રહી હતી.
બીજેપીએ એમવીએ સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો, તો સરકારે કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવનાર લોકો વિરુદ્ધ કેન્દ્રીય સંસ્થાઓને કામે લગાડવાના મામલે સવાલ કરીને વળતો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના અન્ય સાથી સુધીર મુનગંટીવારે આ પ્રશ્ન ઉછાળ્યો હતો. ફડણવીસે જણાવ્યું હતું કે બીજેપી ગોસ્વામી અને રનોટનાં નિવેદનો સાથે સંમત નહોતું, પણ તેમની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી એ સત્તાનો દુરુપયોગ હતી.
કાયદાના શાસનમાં સરકાર કેવી રીતે સ્વયંનું વ્યવસ્થાપન કરે છે એ અગત્યનું છે. જે પણ તમારી સામે લખે કે બોલે તેની ધરપકડ થાય છે. સરકાર દ્વારા લેવાતું આ પસંદગીનું પગલું છે. આ પાકિસ્તાન નથી. આ લોકશાહી છે, આપખુદશાહી નહીં તએમ ફડણવીસે જણાવ્યું હતું.
આ આક્ષેપોનો જવાબ આપતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તમને પસંદ ન પડે એવા લોકો વિરુદ્ધ તમે ઈડી લઈ આવો છો. પ્રતાપ (સરનાઈક) એનો જ સામનો કરી રહ્યા છે. સમગ્ર પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે ઈડી હજી જેનો જન્મ પણ નથી થયો એવા પ્રતાપના પૌત્રને પણ નહીં છોડે. આ ભ્રષ્ટ રાજકારણ છે અને છતાં તમે અમારા પર અપ્રગટ ઇમર્જન્સી લાદવાનો આરોપ લગાવો છો. અમે આને હળવાશથી નહીં લઈએ.