ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ, વોટિંગ દરમિયાન વિપક્ષે કર્યું વોકઆઉટ
આ જ વર્ષે ઓગસ્ટમાં ત્રણ તલાક બિલ લોકસભામાં પસાર થયું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. (ફાઇલ)
ત્રણ તલાકને ગેરકાયદે ઠેરવવાના ચુકાદા સાથે જોડાયેલા નવા બિલ પર ગુરૂવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ. હોબાળાની વચ્ચે કેન્દ્રીય વિધિમંત્રી રવિશંકર પ્રસાદે ગૃહમાં બિલ રજૂ કર્યું. જ્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બિલને જોઈન્ટ સિલેક્શન કમિટી પાસે મોકલવાની માંગ કરી. જોકે, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બિલ પર ચર્ચા શરૂ કરાવી દીધી. બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું- કોંગ્રેસ જો ચાહતી તો આ બિલ 30 વર્ષ પહેલા જ પાસ કરાવી શકતી હતી. પરંતુ, તેમણે ભાગલાના રાજકારણને પ્રાથમિકતા આપી. આ બિલ પહેલા પણ બે વાર લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે, પરંતુ બંને વખતે રાજ્યસભામાં અટક્યું હતું. આ વખતે સરકાર ઇચ્છે છે કે 8 જાન્યુઆરીના રોજ સંસદ સત્ર પૂરું થતા પહેલા આ બંને ગૃહમાં બિલ પસાર થઈ જાય.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "ત્રણ તલાક સાથે જોડાયેલું બિલ મહત્વપૂર્ણ છે. તેનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. આ બંધારણીય મામલો છે. હું વિનંતી કરું છું કે આ બિલને જોઇન્ટ સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવામાં આવે." જોઇન્ટ સિલેક્ટ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સભ્યો સામેલ હોય છે. જો કોઈ સભ્ય કોઈ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરે છે તો તેને જોઇન્ટ સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે છે. આ કમિટીના સભ્યોમાં કોને સામેલ કરવામાં આવશે, તેનો નિર્ણય ગૃહ કરે છે.
કેન્દ્રીય વિધિમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે દુનિયાના 20થી વધુ ઇસ્લામિક દેશોમાં ત્રણ તલાકને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યું છે. એફઆઇઆરનો દુરૂપયોગ ન થાય, સમાધાનનું માધ્યમ હોય અને જામીનની જોગવાઈ હોય, વિપક્ષની માંગ પર આ તમા બદલાવ બિલમાં થઈ ચૂક્યાં છે. આ બિલ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી. જ્યારે આ સંસદ દુષ્કર્મીઓ માટે ફાંસીની સજાની માંગ કરી ચૂકી છે તો આ જ સંસદ ત્રણ તલાકને ખતમ કરવાનો અવાજ કેમ ન ઉઠાવી શકે?
ADVERTISEMENT
ત્રણ તલાક પર ચર્ચા શરૂ થાય તે પહેલા લોકસભામાં લોકસભામાં રાફેલ ડીલ મુદ્દે હોબાળો મચી ગયો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના સદસ્યોએ રાફેલ ડીલની તપાસ માટે સંસદીય સમિતિ (જેપીસી)ના ગઠનની માંગ કરી. હોબાળાને કારણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. બીજીવાર કાર્યવાહી શરૂ થયા પછી પણ હોબાળો ચાલુ રહ્યો. ત્યારબાદ કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ત્રણ તલાકને ગુનો ઠેરવવા માટે સપ્ટેમ્બરમાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેની સમયમર્યાદા 6 મહિનાની હોય છે, પરંતુ જો આ દરમિયાન સંસદ સત્ર આવી જાય તો સત્ર શરૂ થયાના 42 દિવસની અંદર અધ્યાદેશને બિલ સાથે રિપ્લેસ કરવાનો હોય છે. વર્તમાન સંસદ સત્ર 8 જાન્યુઆરી સુધી ચાલશે. જાન્યુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 સુધી ત્રણ તલાકના 430 મામલાઓ સામે આવ્યા હતા. તેમાં 229 મામલાઓ સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા અને 201 કેસ ત્યારપછીના છે.
ઓગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટે એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત)ની 1400 વર્ષ જૂની પ્રથાને ગેરબંધારણીય ઠેરવી હતી અને સરકારને આ માટે કાયદો બનાવવા જણાવ્યું હતું. સરકારે ડિસેમ્બર 2017માં લોકસભા પાસે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ પસાર કરાવ્યું પરંતુ રાજ્યસભામાં આ બિલ અટકી ગયું, જ્યાં સરકાર પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી. વિપક્ષે માંગ કરી હતી કે ત્રણ તલાકના આરોપી માટે જામીનની જોગવાઈ પણ હોય.
આ જ વર્ષે ઓગસ્ટમાં પણ આ બિલ લોકસભામાં પસાર થયું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. ત્યારબાદ સરકાર સપ્ટેમ્બરમાં અધ્યાદેશ લઈને આવી. તેમાં વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને જામીનની જોગવાઈ જોડવામાં આવી. અધ્યાદેશમાં કહેવામાં આવ્યું કે ત્રણ તલાક આપવા પર ત્રણ વર્ષની જેલ થશે.