નવી મુંબઈમાં પૅન્ટોગ્રાફ ફસાતાં ટ્રેન સર્વિસ ખોરવાઈ
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ સ્ટેશન પરના ઓવરહેડ વાયર પર લોકલ ટ્રેનનું પૅન્ટોગ્રાફ ફસાઈ જતાં થાણે-વાશી ટ્રાન્સ-હાર્બર સબર્બન રેલવેલાઇન પરની ટ્રેનોની ગતિવિધિ શુક્રવારે સવારે ખોરવાઈ ગઈ હતી.
સબર્બન ટ્રેનનું પૅન્ટોગ્રાફ સવારે ૧૦.૦૫ વાગ્યે કોપરખૈરણે સ્ટેશનના ઓવરહેડ વાયર સાથે ફસાઈ ગયું હતું એમ સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું.
ADVERTISEMENT
પરિણામે વાશીથી થાણે અને નેરુળથી થાણેની ટ્રેન-સર્વિસ ખોરવાઈ ગઈ હતી. ટ્રેનોની ગતિવિધિને ઝડપથી શરૂ કરવાના પ્રયાસ શરૂ કરી દેવાયા હતા એમ તેમણે જણાવ્યું હતું.
ટ્રાન્સહાર્બર લાઇન થાણે અને નવી મુંબઈ વચ્ચે સબર્બન ટ્રેનજોડાણ પૂરી પાડે છે. સેન્ટ્રલ રેલવે આ લાઇન પર થાણે-વાશી અને થાણે-પનવેલ સ્ટેશનો વચ્ચે સબર્બન સર્વિસ ચલાવે છે.
વર્તમાન સમયમાં માત્ર જરૂરી સેવાઓના સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને પસંદગીયુક્ત શ્રેણીના પૅસેન્જરોને જ લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી છે. આ ટ્રેન ૧૫ જૂને પુનઃ શરૂ થઈ હતી.