કૉન્ગ્રેસ મૂંઝવણમાં : સુધરાઈની ચૂંટણી કેમ જિતાશે?
એશિયાની સૌથી મોટી તથા ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી સુધરાઈનું સુકાન શિવસેના-બીજેપી પાસેથી આંચકી લેવાનું એનું સપનું અધૂરું જ રહી જશે. વળી તાજેતરમાં જ રીટેલમાં એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ના મામલે પણ લોકોમાં ભારે વિરોધની લાગણી જોવા મળી હતી. અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને પણ મુંબઈમાં સારુંએવું જનસમર્થન મળ્યું હતું. કૉન્ગ્રેસના નેતાઓને એવો ડર છે કે આ તમામ કારણોને જોતાં જો શહેરી મિડલક્લાસ મતદાન કરવા બહાર પડ્યો તો પરિણામ તેમના માટે ઉત્સાહજનક નહીં જ હોય. વળી કૉન્ગ્રેસે હજી સુધી સુધરાઈની ચૂંટણી માટે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી) સાથે ચૂંટણીજોડાણ નથી કર્યું. વળી શહેરનાં વર્ષ ૨૦૦૦ સુધી વસેલાં ઝૂંપડાંઓને કાયદેસર કરવાનું કામ પણ થયું નથી. શહેરમાં મેટ્રો તથા મોનો રેલ જેવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ પણ નિયત સમય કરતાં ઘણાં મોડાં ચાલી રહ્યાં છે. કૉન્ગ્રેસના નેતા કૃપાશંકરના મતે સમાજવાદી પાર્ટી સાથે સીટની વહેંચણી કરવી જોઈએ. જો કૉન્ગ્રેસ તથા એનસીપીનું જોડાણ થાય તો સુધરાઈની ચૂંટણીમાં ત્રિશંકુ જંગ થાય એવી સંભાવના છે. એમાં એક તરફ શિવસેના-બીજેપી તથા આરપીઆઇ હશે અને બીજી તરફ એમએનએસ તથા ત્રીજો પક્ષ કૉન્ગ્રેસ-એનસીપી હશે. કૉન્ગ્રેસને એવી આશા છે કે એમએનએસ શિવસેનાની વોટબૅન્કમાં ગાબડું પાડશે.