બગદાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર : 15 લોકોનાં મૃત્યુ
બગદાદ
(જી.એન.એસ.) ઇરાકના બગદાદમાં આવેલા ખિલાની સ્ક્વેરમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવતાં ૧૫ પ્રદર્શનકારીઓનાં મોત નીપજ્યાં છે. ઇરાકના ઑફિસર્સે આ વાત જણાવી છે. અચાનક જ ગોળીબાર થવાથી પ્રદર્શનકારીઓ નજીકના તહરીર સ્ક્વેર અને મસ્જિદો તરફ દોડ્યા હતા. આ હુમલો બગદાદના તહરીર સ્ક્વેરમાં થયેલા હુમલામાં ૧૩ લોકો ઘાયલ થયા હતા, એના એક દિવસ પછી થયો છે. ગુરુવારે સાંજે વિરોધીઓ સ્ક્વેરથી પાછા જતા હતા ત્યારે અચાનક જ ગોળીબાર શરૂ થયો હતો.
ઇરાકમાં ૧ ઑક્ટોબરે વિરોધપ્રદર્શન શરૂ થયું હતું, ત્યારથી ઓછામાં ઓછા ૪૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે, કારણ કે હજારો ઇરાકીઓ ભ્રષ્ટાચારને રોકવા માટે રસ્તા પર ઊતર્યા છે અને ૨૦૦૩ના યુ.એસ.ના આક્રમણ બાદ સ્થપાયેલી રાજકીય વ્યવસ્થાને સમાપ્ત કરવાની હાકલ કરી હતી.