Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જેવા સાથે તેવા - (લાઇફ કા ફન્ડા)

જેવા સાથે તેવા - (લાઇફ કા ફન્ડા)

24 June, 2020 05:10 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

જેવા સાથે તેવા - (લાઇફ કા ફન્ડા)

જેવા સાથે તેવા - (લાઇફ કા ફન્ડા)


દાદાએ પોતાની પત્નીનો લીલા પન્ના જડેલો હાર પોતાની પુત્રવધૂને ભેટ આપ્યો અને કહ્યું, ‘દીકરા આ આપણા કુટુંબની પેઢી દર પેઢી ભેટ આપવામાં આવતી જણસ છે, તેને સાચવજો.’ પુત્રવધૂએ પગે લાગી હાર લીધો અને દાદાએ પૌત્રને કહ્યું, ‘દીકરા તું તારા હાથે આ હાર તારી પત્નીને પહેરાવ અને તેની પહેલાં મને કહે હારમાં કેટલા મોટા પન્ના જડેલા છે.’ પૌત્રએ પહેલાં પન્ના ગણ્યા, તે ૧૯ હતા અને પછી હાર પત્નીને પહેરાવ્યો અને દાદાને કહ્યું, ‘દાદાજી, કુલ ૧૯ પન્ના છે.’ દાદા હસ્યા અને બોલ્યા, ‘આ ૧૯ પન્ના કેમ છે તેની પાછળ પણ એક રસપ્રદ વાત છે.’
દાદાજીએ વાત શરૂ કરી ‘વર્ષો પહેલાંની વાત છે. હું યુવાન હતો, મારા લગ્ન થયા ત્યારે મારા પરદાદાએ મને તેમની તિજોરી ખોલી કુલ આ હારમાં ઓગણીસ છે તેવા ૨૦ એકદમ કીમતી પન્ના આપ્યા અને કહ્યું, આમાંથી મારી પ્રપૌત્રવધૂ માટે હાર કરાવી લાવજે. હું પન્ના લઈને ઝવેરી પાસે ગયો. તેમણે રત્નોના બહુ વખાણ કર્યા અને કહ્યું ખૂબ જ કીમતી પન્ના છે, હવે તો આવા મળે જ નહીં...અને વાતો કરતાં કરતાં ઝવેરીએ એક પોતાના ઝભ્ભાની બાંયમાં સેરવીને છુપાડી દીધું અને તેને તેમ કરતાં મેં જોયા, પણ વડીલ હતા એટલે હું કંઈ બોલ્યો નહીં, પછી તેમણે પન્નાના રત્નો ગણીને મને કહ્યું, ‘જો ભાઈ ૧૯ છે, તું પણ ગણી લે.’ મેં રત્નો મારા હાથમાં લીધા અને મેં પણ તેમની જેમ રત્નો ગણતા ગણતા એક રત્ન લઈ લીધું અને તેમને બધા રત્નો પાછા આપતાં કહ્યું, ‘હા બરાબર છે ૧૯ છે.’ ઝવેરી રાજી થયો કે આ યુવાનને ખબર નથી કે તે ૨૦ રત્ન લાવ્યો હતો, ચાલો આજે તો ઘણો મોટો ફાયદો થઈ ગયો. હું રાજી થયો કે ઝવેરીએ લુચ્ચાઈ કરી છે તેનો મેં બરાબર જવાબ આપ્યો છે. જેવા સાથે તેવા. ઝવેરીએ કહ્યું, ‘ત્રણ દિવસ પછી ૧૯ પન્નાના રત્ન જડેલો હાર તૈયાર થઈ જશે...લઈ જજે.’
હું રાજી થતો ઘરે આવી ગયો. ઝવેરીના કારીગરે કહ્યું કે, આ તો ૧૮ જ રત્ન છે. ઝવેરી ચોંકી ગયો. હવે શું કરવું ? આ રત્નો તો એકદમ કીમતી અને અલભ્ય હતા. અને ૧૯ રત્નનો હાર બનાવવાનું તો નક્કી કરવામાં આવ્યું હતું એટલે નાછૂટકે ઝવેરીએ પોતે ચાલાકી કરી ચોરી લીધેલું રત્ન હાર બનાવવામાં આપી દેવું પડ્યું. ત્રણ દિવસ પછી હું હાર લઈ આવ્યો. અને જે એક રત્ન મારી પાસે હતું તેની મેં વીંટી કરાવી. તે હજી હું પહેરું છું. આ વાત તમને કરવાનું કારણ એ જ કે જીવનમાં અમુક સમયે તમારે ચાલાકીથી જેવા સાથે તેવા થઈ તેમને તમારું નુકસાન કરતા અટકાવવા અને હંમેશાં સચેત અને જાગૃત રહેવું. કુટુંબના બધા સભ્યો દાદાની હોશિયારીની વાત જાણી ખુશ થયા.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2020 05:10 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK