તિરુપતિ મંદિરને 5 મહિનામાં 140 કરોડ કૅશ-524 કિલો સોનું દાનમાં મળ્યું
તિરુપતિ મંદિર
દેશમાં છેલ્લા પાંચ મહિના આર્થિક રીતે કટોકટીભર્યા રહ્યા છે. ગ્રોથ રેટ પાંચ ટકા પર આવી ગયો છે અને એક રીતે જોવા જઈએ તો અઘોષિત આર્થિક મંદી શરૂ થઈ છે. જોકે આ મંદીમાં પણ વિરોધાભાસી પરિસ્થિતિ મંદિરોમાં જોવા મળી રહી છે. ભારતના સૌથી અમીર મંદિરોમાં શિરમોર ગણાતા તિરુમાલાના તિરુપતિ મંદિરમાં દાનનો આંકડો રેકૉર્ડબ્રેક રહ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના જણાવ્યા મુજબ નવા નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલથી ઑગસ્ટ સુધીના પાંચ મહિનામાં મંદિરને જે દાન મળ્યું છે એ અત્યાર સુધીનું સૌથી વધુ છે. મંદિરમાં કૅશ અને હૂંડીમાં ૧૪૦ કરોડ રૂપિયા કૅશ દાન મળ્યું છે. આ સિવાય ૫૨૪ કિલો સોનું અને ૩૦૯૮ કિલો ચાંદી મળ્યું છે. સોનું અને ચાંદી પણ છેલ્લા વર્ષોની સરખામણીએ બેથી ત્રણ ગણા મળ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઑફિસર અને આઇએએસ અધિકારી અનિલકુમાર સિંઘલના જણાવ્યા મુજબ ૨૦૧૮માં એપ્રિલથી ઑગસ્ટ વચ્ચે ૧૧૩.૯૬ કરોડ રૂપિયા અને ૩૪૪ કિલો સોનું અને ૧૧૨૮ કિલો ચાંદી મળ્યા હતા. જોકે ૨૦૧૯નો આંકડો આશ્ચર્યજનક રીતે વધી ગયો છે. જે પ્રકારે દાનના આંકડામાં ઉછાળો આવ્યો છે એ પરથી દાન મેળવવાના મામલે શ્રી તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ ભારતમાં પ્રથમ નંબરે જ રહેશે એવું કહેવું ખોટું નહીં કહેવાય.
આ પણ વાંચોઃ બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ ન હોવા છતાં રોજ અજાન અને પાંચ નમાજ પઢાય છે