વલસાડમાં કાર-ઍક્સિડન્ટમાં વિરારના ગુજરાતી પરિવારના ત્રણ જણનાં મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગઈ કાલે મોડી સાંજે વિરારના ગુજરાતી પરિવારની મુંબઈ તરફ આવી રહેલી કારનો વલસાડના ગુંદલાવ પાસે જીવલેણ અકસ્માત સર્જાતાં પતિ-પત્ની અને દીકરી સહિત ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. કારનું ટાયર ફાટતાં એ હવામાં ફંગોળાઈને રોડની બીજી તરફ સામેથી આવી રહેલી એક પ્રાઇવેટ લક્ઝરી બસ સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો.
પોલીસે આપેલી માહિતી અનુસાર વલસાડના ગુંદલાવ નજીક સાંજે ૫.૩૦ વાગ્યે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વિરાર-વેસ્ટના સેન્ટ્રલ પાર્ક ખાતે રહેતા ૫૩ વર્ષના મનોજ પટેલ, ૪૮ વર્ષનાં તેમનાં પત્ની જ્યોતિ પટેલ તથા તેમની ૨૩ વર્ષની દીકરી હેતલ પટેલનાં આ અકસ્માતમાં મોત નીપજ્યાં છે.
ADVERTISEMENT
અકસ્માતમાં માર્યાં ગયેલાં જ્યોતિ પટેલના કઝિન દીપક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ખરસાડ ગામથી નીકYયાને માત્ર ૩૦ મિનિટ જેટલો સમય થયો હશે ત્યારે કારનું ટાયર ફાટતાં કાર ચલાવી રહેલા મનોજ પટેલે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને સામેથી આવતી લક્ઝરી બસ નીચે કાર આવી જતાં ત્રણેય જણનાં મૃત્યુ થયાં હતાં. માર્યા ગયેલા લોકોની ઓળખ પોલીસને કારમાં મળેલી એક જૂની મૅરેજની કંકોતરી પરથી થઈ હતી. ત્યાર બાદ પોલીસે અમને જાણ કરતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.