Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દૃષ્ટિ અને દૂરંદેશી વચ્ચેનો ભેદ સમજી શકનાર જ સર્વોચ્ચ સ્થાનને શોભાવે

દૃષ્ટિ અને દૂરંદેશી વચ્ચેનો ભેદ સમજી શકનાર જ સર્વોચ્ચ સ્થાનને શોભાવે

14 July, 2020 01:34 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

દૃષ્ટિ અને દૂરંદેશી વચ્ચેનો ભેદ સમજી શકનાર જ સર્વોચ્ચ સ્થાનને શોભાવે

સમ્રાટ અશોક

સમ્રાટ અશોક


સત્તા પર આવવું, સત્તા મેળવવી, સત્તાને ચલાવવી અને સત્તાને સારી રીતે ચલાવવી એ ચારેચાર પ્રક્રિયા અલગ છે, એકબીજાથી ભિન્ન છે. એમાં સામ્ય હોય તો એક જ કે ચારેચાર વાતમાં સત્તા શબ્દનો ઉપયોગ થયો છે. આ ચાર કામ કરવા માટે ચાર પ્રકારની ક્વૉલિટી હોવી જોઈએ અને એ ભાગ્યે જ કોઈ એક વ્યક્તિમાં જોવા મળતી હોય છે અને એવું પણ બને કે સદીઓ સુધી એ ક્ષમતા કોઈ એક જ વ્યક્તિમાં હોય એવું જોવા ન પણ મળ્યું હોય અને જેનામાં એ જોવા મળે તે વ્યક્તિને ક્યારેય કોઈ ઢાંકી કે સંતાડી પણ ન શકે એ પણ એટલું જ સાચું છે. સમ્રાટ અશોકમાં આ ચારેચાર ક્ષમતા હતી. જંગલનું તેનું જીવન હતું અને દુનિયામાં કોઈ તેના સુધી પહોંચી શકે એમ નહોતું અને એ પછી પણ અશોક ત્યાંથી બહાર આવ્યો અને ચક્રવર્તી બનીને વિશ્વભરમાં તેને નામના સાંપડી. અશોકની મા નહોતી ઇચ્છતી કે તે દુનિયાની સામે આવે, તે એ પણ નહોતી ઇચ્છતી કે અશોક એવું કોઈ કામ કરે કે જેને લીધે દુનિયાની નજર તેના પર જાય અને દુનિયામાં તેની વાહવાહી થાય. આવું નહીં ઇચ્છવાનું કારણ પણ બહુ સ્પષ્ટ હતું. મા ધર્મા નહોતી ઇચ્છતી કે તેના દીકરા પર કોઈની નજર પડે, પરંતુ એ નજર પડી અને ધીમે-ધીમે સૌકોઈની નજર પડી અને એક દિવસ એવો આવ્યો કે અશોક ચક્રવર્તી સમ્રાટ બનીને જગતઆખા પર છવાઈ ગયો.

સત્તા પર આવવું, સત્તા મેળવવી, સત્તાને ચલાવવી અને સત્તાને સારી રીતે ચલાવવી એ વાત સમજાવવા માટે સમ્રાટ અશોકથી બીજું કોઈ મોટું ઉદાહરણ હોઈ પણ ન શકે, કારણ કે આજના સમયની વ્યક્તિનું જો ઉદાહરણ આપવામાં આવે તો એવું કરવા જતાં અનેક લોકોને એવું લાગશે કે મતભેદ રાખવામાં આવે છે. મૂળ વાત પર આવીએ. સત્તા પર આવવા માટે અને સત્તા હાથમાં લઈ લેવા માટે અનેક પ્રકારની હુંસાતુંસી કરવામાં આવે છે. એકધારો એવો પ્રયાસ થયા કરતો હોય છે કે વ્યક્તિ સત્તા પરથી ઊથલી પડે અને સત્તાપલટો આવે, જેથી પોતાને લાભ થાય; પણ મારું કહેવું છે કે જીવનમાં કેટલાકનો જન્મ શ્રેષ્ઠ સેનાપતિ બનવા માટે જ થયો હોય અને કોઈના નસીબમાં સર્વશ્રેષ્ઠ ચાણક્ય બનવાનું જ લખાયું હોય. ચાણક્ય શાસન પર ન આવે, યુદ્ધ સેનાપતિ જ લડે; પણ યુદ્ધ લડવા માટે સેનાપતિને આદેશ તો રાજા જ આપે અને રાજા બનવાનું સૌભાગ્ય સેનાપતિના તકદીરમાં ન પણ હોય. આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને સ્વીકારવી જ જોઈએ. ઑફિસમાં કોઈને મોટું પદ મળે ત્યારે એ પદની ઈર્ષ્યા કરવામાં લોકો એટલા તો વ્યસ્ત થઈ જાય છે કે એ ઈર્ષ્યા કરવા માટે ખર્ચેલા સમયમાં જો કામ કરવામાં આવે તો વધુ એક પ્રમોશન મળી જાય. બને કે પ્રમોશન મળ્યું હોય તેનામાં આવડત ઓછી હોય, પણ એ આવડત ઓછી હોવાનો માપદંડ તમારી દૃષ્ટિનો છે, વહીવટદારની દૃષ્ટિએ એ આવડત સિવાયની બીજી અનેક આવડત પણ એમાં સામેલ છે, જે તમે જોઈ નથી શકતા. દૃષ્ટિ કેળવવી પડે, નજર વિકસાવવી પડે. આંખ પાસેથી માત્ર જોવાનું એક જ કામ નથી લેવાનું હોતું, આંખને દૂરંદેશી આપવાનું કામ પણ આપણે જ કરવું પડે છે અને એ કામમાં જેણે મહારત હાંસલ કરી તે ક્યારેય કોઈ જગ્યાએ, કોઈ શાસનમાં સ્થાયી રહેવામાં પાછળ નથી પડતો.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 01:34 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK