કલકત્તામાં દુર્ગાની મૂર્તિનું સ્વરૂપ હિજરતી મજૂર માતાના રૂપમાં પૂજાશે
કલકત્તામાં દુર્ગાની મૂર્તિનું સ્વરૂપ હિજરતી મજૂર માતાના રૂપમાં પૂજાશે
લોકમાન્ય ટિળકે સામાજિક ચેતના માટે જે ગણેશોત્સવનો આરંભ અને પ્રસાર કર્યો એ આજે અનેક વખત સમાજની સચ્ચાઈનું પ્રતિબિંબ દર્શાવે છે. સમાજની ઘટનાઓ, ચિંતાઓ અને ચેતનાની લોકસમુદાય સમક્ષ ઉચિત દૃષ્ટિકોણથી અભિવ્યક્તિ નવરાત્રિમાં પશ્ચિમ બંગાળમાં યોજાતી ૧૦ દિવસની દુર્ગાપૂજામાં પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પેટિયું રળવા માટે પોતાના વતન કે કૌટુંબિક ઘર-પરિવારથી દૂર-દૂરના સ્થળે મજૂરી કરવા જતા પરિવારોની વ્યથાની કથાઓ હૃદય વલોવી નાખનારી હોય છે. એ રીતે મજૂરી કરતી સગર્ભા મહિલાઓ અને નાનાં બાળકો ધરાવતી માતાઓના દુઃખ અવર્ણનીય હોય છે.
આ વર્ષે કોરોના રોગચાળાના દિવસોમાં એ સ્થળાંતરકારી મજૂરોએ ઘણું સહન કરવું પડ્યું છે. એ બાબતને ધ્યાનમાં રાખીને બાળકોને સાચવીને મજૂરી કરતી સ્થળાંતરકારી- હિજરતી માતાઓની વ્યથા તરફ લોકોનું ધ્યાન ખેંચાય એ માટે કલકત્તાનું એક દુર્ગાપૂજા મંડળ એ પ્રકારની મૂર્તિ સ્થાપિત કરીને ૧૦ દિવસનું આયોજન કરી રહ્યું છે. કલકત્તાના બેહાલા વિસ્તારની બારીશા ક્લબમાં સ્થળાંતરકારી મજૂર મહિલાની મૂર્તિ મંડપમાં સ્થાપવામાં આવશે. એ મૂર્તિ રિન્તુ દાસ નામના મૂર્તિકારે રચી છે. સાડીધારી મહિલા હાથમાં શર્ટ વગરના બાળકને ઉપાડીને ચાલતી હોય એવી એ મૂર્તિ છે. તેની પાછળ ચાલતી બે દીકરીઓની પણ નાનકડી મૂર્તિઓ રિન્તુ દાસે રચી છે. એક બાળકીના હાથમાં ઘુવડ અને બીજી બાળકીના હાથમાં બતક છે. હાથીની આગળ વધુ એક બાળક ચાલતું બતાવવામાં આવ્યું છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના હસ્તે એ દુર્ગાપૂજા ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
એ મૂર્તિ રિન્તુ દાસના જ વિચારોના આધારે રચાઈ છે. રિન્તુ દાસ કહે છે કે સંતાનો માટે ભૂખ-તરસ અને આકરો તાપ સહન કરે એ દૈવી રૂપ સ્ત્રી-માતા તેના પેટના જણ્યા માટે ખોરાક, પાણી અને થોડી રાહતની શોધમાં હોય છે.