ગુજરાતી માજીને ચાર હૉસ્પિટલે ઍડ્મિટ કરવાની ના પાડી દીધી
જસવંતી શાહ
મલાડનાં ૮૫ વર્ષનાં જસવંતી શાહને શુક્રવારે મધરાત બાદ સીઝર અટૅક આવતાં તેમનો પરિવાર તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ કોરોના વાઇરસના ભયને કારણે ઘણી હૉસ્પિટલોએ તેમને દાખલ કરવાનો નનૈયો ભણી દીધો હતો. આવી ઇમર્જન્સીમાં દરદીને ફક્ત ઑક્સિજન, ગ્લુકોઝ અને સોડિયમની જરૂર હોય છે. ચાર હૉસ્પિટલે ઇનકાર કર્યા બાદ ગોરેગામની એક હૉસ્પિટલે ઍડ્મિટ કરીને તેમનો જીવ બચાવ્યો હતો.
સીઝર અટૅક એ મગજમાં અચાનક સર્જાતું અનિયંત્રિત અસંતુલન છે અને એનાથી વ્યક્તિનાં વર્તન, હલન-ચલન, લાગણીઓ અથવા ચેતનાનું સ્તર બદલાઈ જાય છે.
ADVERTISEMENT
તેમની પૌત્રી દેવાંશી શાહે જણાવ્યું કે ‘મારાં દાદીને શુક્રવારે રાતે અઢી વાગ્યે સીઝર અટૅક આવ્યો હતો. અમે સ્થાનિક ડૉક્ટરની મદદ માગી હતી, પરંતુ તેમણે અમારા ઘરે દરદીને તપાસવા આવવાનો ઇનકાર કર્યો હતો. આખરે અમારા ફૅમિલી ડૉક્ટરે વિડિયો-કૉલ કરીને જણાવ્યું કે દાદીને સીઝર અટૅક આવ્યો છે.’
દેવાંશી શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘ચારેય હૉસ્પિટલે કોરોના વાઇરસના ભયથી દાદીને દાખલ કરવાની ના પાડી દીધ હતી. મેં હૉસ્પિટલના વહીવટી તંત્રને વિનંતી કરી કે દાદીને સીઝર અટૅક આવ્યો છે અને તેમનું તાપમાન ૯૬ ડિગ્રી છે, પરંતુ ડૉક્ટરોએ અમને જણાવ્યું કે ‘અમે કોવિડ-19 ટેસ્ટના રિપોર્ટ વિના તમને મદદ કરી શકીએ નહીં.’ આખરે ગોરેગામની ડૉ. આંબેડકર લાઇફલાઇન મેડિકૅર હૉસ્પિટલ દાદીને દાખલ કરવા સંમત થઈ અને તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે ઍમ્બ્યુલન્સને ફોન કરતાં ઍમ્બ્યુલન્સવાળાએ જણાવ્યું કે અમે દરદીને હૉસ્પિટલ લઈ જઈશું, પણ જો હૉસ્પિટલ તેમને દાખલ કરવાનો ઇનકાર કરશે તો અમે દરદીને ત્યાં જ છોડી દઈશું, ઘરે પાછા નહીં લાવીએ.’
ચારેય હૉસ્પિટલે કોરોના વાઇરસના ભયથી દાદીને દાખલ કરવાની ના પાડી દીધી. મેં હૉસ્પિટલના વહીવટી તંત્રને વિનંતી કરી કે દાદીને સીઝર અટૅક આવ્યો છે અને તેમનું તાપમાન ૯૬ ડિગ્રી છે, પરંતુ ડૉક્ટરોએ અમને જણાવ્યું કે, અમે કોવિડ-19 ટેસ્ટના રિપોર્ટ વિના તમને મદદ નહીં કરી શકીએ. - પૌત્રી દેવાંશી શાહ