કાંદા-બટાટા, ફ્રૂટ્સ અને વેજિટેબલ્સની શૉર્ટેજ થશે
રાજ્યમાં જીવનાવશ્યક ચીજવસ્તુનો પુરવઠો ખાલી નહીં થાય એવું સરકાર દ્વારા અનેક વાર કહેવામાં આવ્યું છે, પણ એપીએમસી માર્કેટમાંથી માલની આવક ઓછી થઈ રહી હોવાથી શહેરમાં કરિયાણા અને અનાજની દુકાનોમાં પુરવઠો ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે. મસાલા માર્કેટના એક વેપારીને કોરોના પૉઝિટિવ આવતાં એપીએમસી માર્કેટમાં કાંદા-બટાટા, શાકભાજી અને ફળોની બજારને ૧૧ એપ્રિલથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે અને આને પગલે શાકભાજી અને ફળોની અછત ટૂંકમાં વર્તાવાની શક્યતા છે. માથાડી કામદારોએ કામ બંધ કર્યું છે અને બીજી બાજુ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો હોવાથી લોકલ ટ્રાન્સપોર્ટરો પણ અનાજ અને કરિયાણાની વસ્તુ ટ્રાન્સપોર્ટ ન કરી રહ્યા હોવાને કારણે મુશ્કેલી ઊભી થઈ છે એવું વેપારી વર્ગે જણાવ્યું હતું. ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન એક્સટેન્ડ થવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે શહેરમાં અનાજ અને કરિયાણાના પુરવઠાની અછત ન સર્જાય એ માટે સરકારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ એવી અપીલ એપીએમસીના વેપારીઓએ કરી હતી.