યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષાઓ રદ કરવા યુવા સેનાએ SCમાં ધા નાખી
સુપ્રીમ કૉર્ટ
મહારાષ્ટ્ર યુનિવર્સિટીઓની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે શિવસેનાની યુવા શાખાની યુવા સેનાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. કોરોના રોગચાળાના માહોલમાં પરીક્ષાઓ યોજવી જાહેર જનતાના આરોગ્ય માટે જોખમી હોવાનું યુવા સેનાએ અરજીમાં જણાવ્યું છે. ગઈ કાલે સર્વોચ્ચ અદાલતે અરજી દાખલ કરી હોવાનું યુવા સેનાના પ્રધાન વરુણ સરદેસાઈએ જણાવ્યું હતું. ૧૭ જુલાઈના આંકડા મુજબ કોરોના ઇન્ફેક્શનના પૉઝિટિવ કેસની સંખ્યા મુંબઈના ૯૯,૧૬૪ સહિત મહારાષ્ટ્રમાં ૨,૯૨,૫૮૯ છે.
યુવા સેનાએ અરજીમાં જણાવ્યું હતું કે દરેક રાજ્યમાં રોગચાળાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત સત્તાવાળાઓને નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર ઉપરાંત બીજી સાત રાજ્ય સરકારો પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સના છેલ્લા વર્ષ અને ફાઇનલ સેમિસ્ટરની પરીક્ષાઓ રદ કરી ચૂકી છે. મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે યુવા સેના ઉપરાંત શિવસેનાની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી સેનાનું પણ નેતૃત્વ કરે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી)ના દરેક કોર્સના ફાઇનલ યર- ફાઇનલ સેમિસ્ટરની પરીક્ષાઓ યોજવાની સૂચના આપતા પરિપત્રના અનુસંધાનમાં વરુણ દેસાઈએ જણાવ્યું હતું કે ‘રોગચાળો ફેલાવાનું જોખમ તોળાતું હોય એવી હાલની સ્થિતિમાં સૂચિત પરીક્ષાઓ યોજવી અશક્ય છે. અમને દેશના અનેક ભાગોમાંથી છેલ્લા વર્ષ કે સેમિસ્ટરની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે ઝુંબેશ ચલાવવાનો અનુરોધ વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓએ કર્યો હતો. ઉક્ત પરીક્ષાઓ રદ કરાવવા બાબતે યુવા સેનાની ઑનલાઇન કેમ્પેઇનમાં બે લાખ સહીઓ મળી હતી. એ બાબતને ધ્યાનમાં લઈને અમે યુજીસી તથા માનવ સંસાધન મંત્રાલયને પત્રો લખ્યા હતા, પરંતુ ત્યાંથી અમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.