મધ્ય પ્રદેશ રાજકીય સંકટ : સુપ્રીમમાં આજે વધુ સુનાવણી
બૅન્ગલોરમાં ધરણા પર બેસેલા દિગ્વિજય સિહ (તસવીર: પી.ટી.આઈ)
મધ્ય પ્રદેશની સરકાર રહેશે કે નહીં એ વિશે મુદો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશમાં સરકાર પડી જાય એવી સ્થિતિમાં છે અને આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. ૧૬ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને તેના લીધે કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તમામ બાગી ધારાસભ્યોને મળવા માટે કૉન્ગ્રેસે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એવી માગણી કરી છે. જોકે કોર્ટે કહ્યું, તે આવો કોઈ જ આદેશ આપી શકે નહીં. બાળકો જેવો આ મામલો નથી. જોકે બીજેપી તરફથી આવેલા વકીલે દલીલ કરી હતી કે જ્યારે ધારાસભ્યો જ મળવા નથી માગતા તો કેવી રીતે મળવા માટે દબાણ કરી શકાય?
ADVERTISEMENT
કમલનાથ સરકાર આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે સ્પીકરની સામે સવાલ ઊભો કર્યો હતો. કોર્ટે સવાલ કર્યો કે શા માટે તમે અત્યાર સુધી ધારાસભ્યોનાં રાજીનામાં પર કોઈ જ ઍક્શન ન લીધી? શું આ ધારાસભ્યો ખુદ જ અયોગ્ય નથી? તમે બજેટ સત્રને પણ ટાળી દીધું છે. જો બજેટ નહીં રજૂ થાય તો રાજ્યનું કામકાજ કેવી રીતે ચાલશે? જોકે આ મામલે વધુ સુનાવણી આજ રોજ પણ ચાલુ રાખવામાં આવશે. આ બાજુ શિવરાજ સિંહના પક્ષમાંથી દલીલ કરવામાં આવી હતી કે કોર્ટ દ્વારા તરત જ ફ્લોર ટેસ્ટનો આદેશ આપવામાં આવે.
દિગ્વિજય સિંહનું બૅન્ગલોરમાં વિરોધ પ્રદર્શન
કૉન્ગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રુપના બાવીસ ધારાસભ્યો ૧૦ દિવસથી બૅન્ગલોરમાં છે. બુધવારે સવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ કૉન્ગ્રેસ નેતાઓ સાથે બૅન્ગલોરુ પહોંચ્યા હતા, પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. ત્યાર બાદ કૉન્ગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યાં હતાં જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ નેતાઓને અમૃતાહલ્લી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. દિગ્વિજયે કહ્યું છે કે હવે તેઓ ભૂખ હડતાળ કરશે.
કમલનાથે પોલીસની આ કાર્યવાહીને હિટલરશાહી ગણાવી છે. કમલનાથે કહ્યું છે કે જરૂર પડશે તો હું પણ તે ધારાસભ્યોને મળવા બૅન્ગલોર જઈશ.