ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પુણેમાં પ્રતિબંધ મુકાયો
પ્રતીકાત્મક તસવીર
સંસ્કૃતિ નગરી પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવનું અનેરું મહત્ત્વ છે. બાવીસ ઑગસ્ટથી આ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે કોરોનાના સમયમાં લોકોની ગિરદી ન થાય એ માટે અહીં ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુણેમાં ઘરે-ઘરે ગણેશમૂર્તિની સ્થાપના કરાતી હોવાથી મોટા પ્રમાણમાં ગણેશમૂર્તિનું વેચાણ અનેક ગેરકાયદે સ્ટૉલ કે ફુટપાથ પર થાય છે.
આવી રીતે ગણેશમૂર્તિનું વેચાણ કરતા દરેક લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ પુણે મહાનગરપાલિકાના મેયર મુરલીધર મોહોળે ગઈ કાલે આપ્યો હતો. રસ્તાની બાજુમાં કે ફુટપાથ પર ગણેશમૂર્તિનું વેચાણ કરનારાઓને મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોના ક્લાસરૂમમાં ગણેશમૂર્તિના વેચાણની ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
ADVERTISEMENT
પુણે મહાનગરપાલિકા દ્વારા દરેક ગણેશમૂર્તિ વિક્રેતાને ગણપતિની મૂર્તિની સાથે એક કિલો અમોનિયમ બાયોકાર્બોરેટ આપવાનો આદેશ પણ અપાયો છે. આ રસાયણનો પુરવઠો પાલિકાની વિવિધ ઑફિસમાંથી આપવામાં આવશે.