માલિકે તેના ડૉગીનાં અસ્થિને ગંગામાં વિસર્જિત કરી ગયામાં પિંડદાન કર્યું
બિહારના પૂર્ણિયા જિલ્લાના મધુબનીમાં રહેતા એક એનઆરઆઇ પ્રમોદ ચૌહાણ તેમના પ્રાણીપ્રેમ માટે આજકાલ ચર્ચામાં છે. ન્યુ ઝીલૅન્ડમાં મૃત્યુ પામેલા તેના ડૉગી લાઇકનનાં અસ્થિઓનું વિસર્જન કરવા તે પટના પહોંચ્યા હતા. અહીં ગંગામાં અસ્થિવિસર્જન કર્યા બાદ તેમણે ગયામાં પિંડદાન પણ કર્યું.
પ્રમોદ ચૌહાણ ઑકલૅન્ડમાં વેપાર કરે છે. તેમનો ડૉગી લાઇકન છેલ્લાં ૧૦ વર્ષથી તેમની સાથે હતો. હાલમાં જ લાઇકનના મૃત્યુ બાદ તેમના પરિવારે તેનાં અસ્થિ ગંગામાં વિસર્જિત કરવાનો નિર્ણય લીધો. લાઇકન તેમના માટે પરિવારના સદસ્ય સમાન હતો. મહાત્મા ગાંધીની વિચારસરણી સાથે સહમત થતાં પશુઓને પણ સન્માન મળવું જોઈએ એવું તેઓ માને છે એટલે ઑકલૅન્ડમાં હિન્દુ વિધિ પ્રમાણે લાઇકનના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમણે અસ્થિવિસર્જન અને પિંડદાન ભારતમાં કર્યાં હતાં. હવે તેઓ શ્રાદ્ધના ૩૦ દિવસ વીત્યા બાદ લાઇકનની પાછળ ભંડારો કરવા વિચારી રહ્યા છે.