કોરોના સંક્રમિતોનો આંકડો ૫૩,૦૦૦ નજીક, ૧૭૦૦થી વધુનાં મોત થયાં છે
પ્રતીકાત્મક તસવીર
દેશમાં લૉકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૫૨,૦૦૦ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૨,૯૫૨ થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી ૧૭૮૩થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫૬૧ કેસો નોંધાયા હતા, જ્યારે ૮૯ લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ ૨૮.૮૩ ટકા છે. અત્યાર સુધી કુલ ૧૫,૨૬૭ લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એવી માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦ કેસ નોંધાયા છે જે હવે સરકાર માટે ચિંતાનો વિષય બની છે.
આંધ્ર પ્રદેશમાં ૫૬ નવા કેસ સામે આવતાં રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૮૩૩ થઈ ગઈ છે, જ્યારે કોરોનાને કારણે કુલ મોત ૩૮ થયાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ પોલીસ-કર્મચારીઓને કોરોના સંક્રમણ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના ૧૮,૭૫૮ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ૧૬,૭૫૮ કેસો નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થઈ ચૂકી છે. મુંબઈમાં આ વાઇરસના ૧૦,૭૧૪ કેસ નોંધાયા છે.