એનડીપીએસ કોર્ટે રિયાની જામીન અરજી પરનો ચુકાદો રિઝર્વ રાખ્યો
રિયા ચક્રવર્તી
સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે ગઈ કાલે રિયા ચક્રવર્તીની જામીન-અરજીનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો, જે કદાચ આજે જાહેર થાય. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કહ્યું કે અમે તેની કસ્ટડી નથી લીધી એનો મતલબ એમ નથી કે તપાસ પૂરી થઈ ગઈ. અમે તપાસ માટે તેની કસ્ટડી પછી પણ લઈ શકીએ છીએ.
કેસના અન્ય આરોપી કૈઝાન ઇબ્રાહિમને કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, પણ એનસીબી એની સામે સેશન્સ કોર્ટમાં આજે અપીલ કરી તેની તપાસ હજી બાકી હોવાનું કહી એનો વિરોધ કરવાની છે.
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ તેની જામીન-અરજી બાબતે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું રિયા પાસેથી કોઈ ડ્રગ મળ્યું નથી. ત્યારે તેનો જવાબ આપતાં સરકારી વકીલ અતુલ સરપંદેએ કહ્યું હતું કે ષડ્યંત્રમાં સામેલગીરી દર્શાવવા ડ્રગ મળવું જરૂરી નથી. માનેશિંદેએ વધુમાં કહ્યું હતું કે રિયાનું સ્ટેટમેન્ટ પુરુષ ઑફિસરે નોંધ્યું છે. એના જવાબમાં સરકારી પક્ષે કહ્યું કે હા, એ સાચુ છે, પણ એ વખતે ત્યાં લેડીઝ ઑફિસર હાજર હતી.
સરકારી પક્ષે કહ્યું હતું કે અમે તેની જામીનનો વિરોધ ડ્રગની ક્વૉન્ટિટીના આધારે નહીં, પણ આ ષડ્યંત્રમાં જે લોકો સંકળાયેલા છે એના આધારે કરી રહ્યા છીએ. બધા જ આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે. રિયાએ પ્રોટેક્શન માટે કહ્યું હતું એથી એનસીબીની એક મહિલા અને એક મહિલા પોલીસ ઑફિસર જ્યારે તેનું સ્ટટમેન્ટ લેવાયું ત્યારે ત્યાં હાજર હતાં અને તેઓ એ સ્ટેટમેન્ટ નોંધાયું એનાં સાક્ષી પણ છે.