ચૉક પર વડા પ્રધાન અને શ્રીરામનું શિલ્પ બનાવ્યું મિનિએચર આર્ટિસ્ટે
ચૉક પર વડા પ્રધાન અને શ્રીરામનું શિલ્પ બનાવ્યું મિનિએચર આર્ટિસ્ટે
બૅન્ગલોરના એન્જિનિયર સચિન સંઘેએ મિનિએચર આર્ટિસ્ટ તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે. ખ્યાતિનું કારણ તેનાં કલાકૃતિઓ રચવાનાં માધ્યમો છે. સ્કૂલમાં ભણતી વખતે બ્લૅક-બોર્ડ પર લખવાના ચૉક અને નોટબુકમાં લખવાની પેન્સિલ પર વ્યક્તિઓ અને વસ્તુઓની આકૃતિ રચવાનો શોખ સચિને બાળપણથી કેળવ્યો છે. ચૉક અને પેન્સિલના લેડ પર બારીકાઈથી કોતરણી કરવાની અસાધારણ ક્ષમતા ધરાવતા સચિનને એક કલાકૃતિ રચતાં પાંચથી છ કલાક લાગે છે. વિશેષ ઝીણવટથી કોતરણી કરવાની હોય તો કેટલાક કિસ્સામાં ૧૨૦થી ૧૩૦ કલાક પણ લાગે છે. ૨૮ વર્ષનો સચિન ૧૫ વર્ષથી આ પ્રકારનાં મિનિએચર સ્કલ્પચર્સ બનાવે છે. કુદરતી ભેટ સમાન આ કલાક્ષમતાને સચિન ચલકૃતિ નામે ઓળખાવે છે.
પોતાની કલા પદ્ધતિને ચલકૃતિ નામે ઓળખાવતા મિનિએચર આર્ટિસ્ટ સચિન સંઘેએ તાજેતરમાં ચૉક પર રચેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન શ્રીરામની શિલ્પાકૃતિ જોઈને મોદીજી સહિત અનેક લોકો ખુશ થઈ ગયા હતા. સચિને અત્યાર સુધીમાં રચેલી ૨૦૦થી વધારે કલાકૃતિઓમાં ગણપતિબાપ્પા, અમિતાભ બચ્ચન, રજનીકાન્ત, ડૉ. બાબાસાહેબ આંબેડકર, અશોક સ્તંભ, રાણા પ્રતાપ વગેરેનો સમાવેશ છે. સચિન ગઈ ત્રીજી જાન્યુઆરીએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે કેટલીક શિલ્પાકૃતિઓ તેમને ભેટ આપી હતી. એ શિલ્પાકૃતિઓમાં કેટલાંક યોગાસનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાના આશીર્વાદ લેતા હોય એવી એક રચનાનો પણ સમાવેશ છે.