HCએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર પાસે પરપ્રાંતીયો માટેની ટ્રેનોની વિગત માગી
મુંબઈ શહેરમાં કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉન વચ્ચે પોતાના વતન પાછા ફરવા ઇચ્છતા પરપ્રાંતીયો ધારાવીમાં બસની રાહ જોઈ રહ્યા છે. તસવીર : પ્રદીપ ધિવાર
મુંબઈ હાઈ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને એક આદેશ દ્વારા કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનમાં રાજ્યમાં અટવાયેલા પરપ્રાંતીય કામદારો માટે દોડાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનોની વિગત માગી હતી તેમ જ આ ટ્રેનો ક્યાં સુધી દોડાવાશે એની પણ વિગત માગી હતી.
હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ એ. આર બોરકરે આ વિશેષ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોનો ખર્ચ કોણ ઉઠાવશે એ વિશે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે.
કોર્ટ પોતાના વતન પાછા ફરવા માટે પગપાળા જ નીકળી પડેલા પરપ્રાંતીય કામદારો, દહાડી મજૂરો અને રાજ્યમાં ફસાયેલા અન્ય લોકોની હાલાકીને જાતે સંજ્ઞાનમાં લઈ સુઓ-મોટો પિટિશનની સુનાવણી કરી રહી હતી.
કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા ઍડ્વોકેટ દેવેન ચવાણે ગઈ કાલે કોર્ટને જણાવ્યું હતું કે ‘રેલવે દ્વારા ચલાવવામાં આવતી વિશેષ ટ્રેનો ફક્ત ૧૭ મે સુધી જ છે, જેને પગલે કોર્ટે રેલવેને દેશના વિવિધ ભાગોમાંથી દોડતી વિશેષ ટ્રેનોની વિગતો સબમિટ કરતું ઍફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયાધીશ બોરકરે જણાવ્યું હતું કે ઍફિડેવિટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે સ્થળાંતર કરનારાઓ અને અન્ય ફસાયેલા લોકોને વિશેષ ટ્રેનો દ્વારા કઈ તારીખ સુધીમાં તેમના વતનના રાજ્યમાં પાછા લાવવામાં આવશે.
૮ મેએ બીજી અરજીની સુનાવણી કરતી વખતે અદાલતને જણાવવામાં આવ્યું હતું કે બૉમ્બે હાઈ કોર્ટની મુખ્ય બેન્ચે એના આદેશમાં નોંધ્યું હતું કે ટિકિટભાડું કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લેશે. આ ખર્ચ માટે રાજ્ય સરકારે ૫૭ કરોડ રૂપિયા જાહેર કર્યા હોવાનું સરકારી વકીલે કોર્ટને જણાવતાં કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને એમનાં સોગંદનામાંમાં આ વિગતો સામેલ કરવાનો આદેશ આપતાં મામલાની આગામી સુનાવણી ૧૯ મેએ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.