કંગનાનો બંગલો તોડવા મામલે હાઈ કોર્ટે રાઉત પાસે માગ્યો જવાબ
હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને બીએમસી દ્વારા મુંબઈમાં કંગના રનોટના બંગલાનો એક ભાગ તોડી પાડવાની કાર્યવાહી સામે કંગનાએ કરેલી પિટિશન વિશે તેમનો પ્રત્યુત્તર નોંધાવવાનો હુકમ કર્યો હતો.
જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ આર. આઇ. ચાગલાની બેન્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના ‘એચ’ વૉર્ડના અધિકારી ભાગ્યવંત લાટેને આ અરજી વિશે તેમનો જવાબ સુપરત કરવાનો પણ હુકમ કર્યો હતો.
૭ સપ્ટેમ્બરે કંગનાને આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસ પર લાટેએ સહી કરી હતી. મંગળવારે કંગનાના વકીલ સિનિયર કાઉન્સેલ બિરેન્દ્ર સરાફે કોર્ટને એક વક્તવ્ય ધરાવતી ડીવીડી આપી હતી જેમાં સંજય રાઉતે અભિનેત્રીને ધમકી આપતી ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ હાઈ કોર્ટની બેન્ચે કંગનાને રાઉત અને લાટે, બન્નેને કેસના પક્ષકાર બનાવવાની પરવાનગી આપી હતી.
ગુરુવારે બેન્ચે જણાવ્યું હતું કે તે આ કેસની આખરી સુનાવણી શુક્રવારે શરૂ કરશે.