Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ખ્રિસ્તી કબ્રસ્તાન પર બની ગયો બગીચો રામજીનાં બે રૂપ, એક ગોરા એક કાળા

ખ્રિસ્તી કબ્રસ્તાન પર બની ગયો બગીચો રામજીનાં બે રૂપ, એક ગોરા એક કાળા

09 May, 2020 08:31 PM IST | Mumbai Desk
Deepak Mehta | deepakbmehta@gmail.com

ખ્રિસ્તી કબ્રસ્તાન પર બની ગયો બગીચો રામજીનાં બે રૂપ, એક ગોરા એક કાળા

ખ્રિસ્તી કબ્રસ્તાન પર બની ગયો બગીચો

ખ્રિસ્તી કબ્રસ્તાન પર બની ગયો બગીચો


હજી લૉકડાઉન તો ચાલુ છે એટલે પહેલાં જાદુઈ મોજડી પહેરી લઈએ અને પછી નીકળીએ લટાર મારવા. જગન્નાથ શંકરશેટની સ્મૃતિ ગયે અઠવાડિયે સંકોરી, હવે આગળ ચાલીએ. ગલી સાંકડી છે, પણ બહુ અવરજવર નથી કારણ બ્લાઇન્ડ કહેતાં આંધળી ગલી છે. ચાલુ દિવસે પણ અહીં છોકરાઓ ગલી ક્રિકેટ રમી શકે છે. નામ છે સેન્ટ ફ્રાન્સિસ ઝૅવિયર લેન. ગલીને છેડે તેમનું ચર્ચ આવેલું છે. આસપાસની ખ્રિસ્તી વસ્તીનું એ માનીતું ચર્ચ છે. એની પાછળ ખ્રિસ્તીઓનું મોટું કબ્રસ્તાન. આ ગલી આંધળી છે, પણ એ કબ્રસ્તાનમાં પગપાળા જઈ શકાય એવી નાની કેડી ચર્ચની બાજુમાં. વચ્ચે દરવાજો. પણ એ મોટે ભાગે ઉઘાડો જ રહે. કબ્રસ્તાનમાંથી પસાર થવાની બીક ન હોય તો એ કેડી પર થઈ કબ્રસ્તાનમાં જઈ સામી બાજુના ક્વીન્સ રોડ (આજના મહર્ષિ કર્વે રોડ) પર નીકળી શકાય. ઘણા લોકો એ રીતે આવ-જા કરે પણ ખરા, દિવસે. હકીકતમાં ત્રણ અંતિમ સંસ્કાર ભૂમિ એક લાઇનમાં. મુસ્લિમો માટેનું બડા કબ્રસ્તાન, હિન્દુઓની જગન્નાથ શંકરશેટ સ્મશાનભૂમિ (સોનાપુર) અને ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન. પણ આજે હવે ખ્રિસ્તી કબ્રસ્તાન જોવા નહીં મળે. એની બધી જગ્યા વપરાઈ ગઈ, નવી દફનવિધિ કરવાનું બંધ થયું. એ પછી ઘણે વર્ષે ખ્રિસ્તીઓએ એ જગ્યા મુંબઈની મ્યુનિસિપાલિટીને બગીચો બનાવવા માટે આપી દીધી. હા, બે શરત રાખી. એક: જગ્યા ફક્ત બગીચા માટે વાપરવાની, ઇમારતો બાંધવા માટે નહીં. બીજી શરત એ કે એક કબર, ફક્ત એક કબર બગીચામાં જાળવી રાખવાની, કબ્રસ્તાનની સ્મૃતિ રૂપે. 

એ જગ્યાએ જે બગીચો તૈયાર થયો એની સાથે એસ. કે. પાટીલનું નામ જોડાયું. જોકે લોકો એને જૅપનીઝ ગાર્ડન તરીકે વધુ ઓળખે, કારણ કે એનો લે-આઉટ જપાની બગીચા જેવો છે. નવીનીકરણ કર્યા પછી ૨૦૧૯માં આ બગીચો ફરી ખુલ્લો મુકાયો, પણ ત્યારે પાટીલના નામ સાથે એક સ્થાનિક રાજકારણીએ પોતાનું નામ બગીચાના દરવાજા પર મુકાવી દીધું! છેલ્લાં ચાલીસ વરસથી અહીં ફરવા આવનારાઓની માનીતી જગ્યા છે ‘સખી કુટુંબ’ નામની એક નાનકડી હોટેલ. સ્ત્રીઓ ચલાવે છે. અસ્સલ ઘરના સ્વાદવાળો મહારાષ્ટ્રી નાસ્તો કિફાયત ભાવે વેચે. પણ આ એસ. કે. પાટીલ હતા કોણ? સદોબા કાનોજી પાટીલ. ઈ. સ. ૧૯૦૦ના ઑગસ્ટની ૧૪મીએ કુડાળ તાલુકાના આન્દુર્લે નામના નાના ગામડામાં જન્મ. મેટ્રિક થયા પછી મુંબઈની સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં દાખલ થયા, પણ ઇન્ટરની પરીક્ષા પછી ભણવાનું છોડીને ગાંધીજીની આઝાદી માટેની લડતમાં જોડાયા. દસ-બાર વખત જેલમાં ગયા. પછી લંડન જઈ પત્રકારત્વનું શિક્ષણ લીધું અને પોતાનું પ્રેસ અને ‘પ્રકાશ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. આઝાદી પછી ૧૯૪૯થી ૧૯૫૧ સતત ત્રણ વખત મુંબઈના મેયર ચૂંટાયા અને મુંબઈના બેતાજ બાદશાહનું બિરુદ પામ્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં દક્ષિણ મુંબઈથી ચૂંટણી જીતીને પાર્લમેન્ટના સભ્ય બન્યા. પણ પછી ૧૯૬૨માં એ વખતે જુવાન ગણાય તેવા જ્યૉર્જ ફર્નાન્ડિસ સામે હાર્યા. જોકે પછી પેટાચૂંટણીમાં ગુજરાતના સાબરકાંઠામાંથી ચૂંટાઈને પાર્લમેન્ટમાં ગયા. (૧૯૬૭માં ડૉ. કૈલાસ નામના સાવ નવા નિશાળિયા જેવા કૉન્ગ્રેસી ઉમેદવારે ફર્નાન્ડિસને હરાવીને સાટું વાળ્યું. જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં પાટીલ મહત્ત્વના ખાતાના પ્રધાન બન્યા. પણ સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ સાથે તેમણે તાલ ન મેળવ્યો અને મહારાષ્ટ્ર અને ગુજરાતથી અલગ એવા મુંબઈ શહેરના ત્રીજા રાજ્યની હિમાયત કરી. ૧૯૬૯માં ઇન્દિરા કૉન્ગ્રેસ છોડીને મોરારજી દેસાઈ સાથે અલગ કૉન્ગ્રેસ(ઓ)ની સ્થાપના કરી. એના તરફથી ૧૯૭૧માં બનાસકાંઠાથી ફરી ચૂંટણીમાં ઊભા રહ્યા, પણ હાર્યા. એ પછી તેઓ સક્રિય રાજકારણથી દૂર થતા ગયા. સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળ સાથે રહ્યા હોત તો નવા મહારાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન બની શક્યા હોત. ૧૯૮૧ના જૂનની ૨૪મી તારીખે તેમનું અવસાન થયું.
રસ્તાની એક બાજુ ચિત્રા સ્ટુડિયો અને બીજી બાજુ વેન્ગાર્ડ સ્ટુડિયો. જ્યારે કૅમેરા હાથવગા નહોતા થયા, ફોટો પાડવાનું ખર્ચાળ અને અઘરું હતું ત્યારે આવા સ્ટુડિયોની બોલબાલા હતી. આવા એકાદ સ્ટુડિયોમાં જઈને બે-ચાર ફોટો ન પડાવે ત્યાં સુધી નવાં પરણેલાંને લગ્ન અધૂરાં લાગતાં. પણ પહેલાં ડિજિટલ કૅમેરા અને પછી મોબાઇલ કૅમેરાને કારણે આવા સ્ટુડિયોનું મહત્ત્વ ઘટતું જાય છે. આથી ઘણા બંધ થયા પણ આવા કેટલાક હઠાગ્રહપૂર્વક ચાલુ રહ્યા છે, કારણ કે બદલાતા સમય, જરૂરિયાત અને માગ પ્રમાણે બદલાતા રહ્યા છે. પણ આપણે આગળ વધીએ. થોડું ચાલ્યા ત્યાં જમણી બાજુ આવ્યો ઝાવબા વાડીનો વિસ્તાર. ૧૮મી સદીમાં એનું મૂળ નામ રણબિલવાડી. ત્યારે ખરેખર એ વાડી જ હતી. પછી વિશ્વનાથ વિઠોજી ઝાવબા નામના પાઠારે પ્રભુએ આ જગ્યા ખરીદી લીધી અને તેમની કોમના લોકો અહીં આવીને વસવા લાગ્યા. વિશ્વનાથના પૌત્ર વિઠોબા ઝાવબાએ અહીં રામનું મંદિર બંધાવ્યું. એના પરથી આ વિસ્તાર ઠાકુરદ્વાર તરીકે ઓળખાય છે. અસલ તો અહીં રહેણાકનું ઘર હતું અને એમાં નાનકડું મંદિર હતું, પણ પછી વિઠોબાએ પોતાના વસિયતનામામાં આ ઘરને મંદિર બનાવવાનું વારસોને જણાવ્યું. ૨૦,૦૦૦ રૂપિયાનના ખર્ચે નવું મંદિર બંધાયું. વસિયતનામાની જોગવાઈઓ બહુ વિગતવાર હતી. સરકારી લોન પરનું વ્યાજ અને બીજી આવકના દર મહિને ૧૦૦ રૂપિયા આવતા હતા. એમાંથી મહિને ૬૫ રૂપિયા મંદિરનો નિભાવખર્ચ. વધે એ ૪૫ રૂપિયા અને બીજી દાનમાં જે રકમ મળે એ મૂર્તિનાં ઘરેણાં અને વાઘા ખરીદવા માટે જ વાપરવાની. ૧૮૯૫માં પ્રગટ થયેલા કે. રઘુનાથજીના પુસ્તક ‘ધ હિન્દુ ટેમ્પલ્સ ઑફ બૉમ્બે’માં આ વિગતો આપી છે. પાઠારે પ્રભુની વસ્તીને અહીંની જગ્યા ઓછી પડી ત્યારે અગાઉ આપણે જેની વાત કરી છે એ નવી વાડીમાં તેઓ વસ્યા. આ મંદિરનું સત્તાવાર નામ ‘ઝાવબા શ્રી રામ મંદિર’ છે પણ સ્થાનિક લોકો એને ‘ગોરા રામજીનું મંદિર’ તરીકે ઓળખે છે.
પણ ખુદ રામજીને દ્વારે આવો કાળા-ગોરાનો ભેદ કેમ? કારણ કે અહીંથી થોડે દૂર બીજું એક રામમંદિર આવેલું છે જેમાં રામની મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે એટલે એ કાળા રામજીનું મંદિર અને સફેદ આરસની મૂર્તિવાળું આ ગોરા રામજીનું મંદિર. કાળા રામજીનું મંદિર આજે પણ તરત ધ્યાન ખેંચે એવું નથી, કારણ કે એક નાના ઘુમ્મટને બાદ કરીએ તો બહારથી એ રહેણાકના મકાન જેવું જ દેખાય છે. એના દરવાજા પર પિત્તળની તકતી લગાડવામાં આવી છે એમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૭૮ના માર્ચની ૧૪મી તારીખે આ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. વિઠોબા વાસુદેવ ઝાવબાએ એ બંધાવ્યું હતું. મંદિરના બહારના, રસ્તા તરફ પડતા ભાગમાં પરસાળ છે જેમાં રોજ સાંજે કીર્તન થાય. મહારાષ્ટ્રની પરંપરામાં કીર્તનકાર ઊભા-ઊભા ગાઈને કીર્તન કરે, વચમાં-વચમાં થોડું નર્તન કે અભિનય પણ કરતા જાય. મુખ્યત્વે ઑર્ગન (પગવાજું) અને તબલાંનો સંગાથ હોય. જોકે હવે ઑર્ગનને બદલે હાર્મોનિયમ પણ વપરાય છે. આ લખનાર અગાઉ હજારો વાર આ રસ્તેથી પસાર થયેલો, કીર્તનનો અવાજ કાને પડેલો, પણ કોઈ દિવસ એ મંદિરમાં પગ મૂકવાનું ન બન્યું. કારણ? એ વખતે ધરમ-ધ્યાન, પૂજાપાઠ વગેરેમાં ઝાઝી શ્રદ્ધા જ નહોતી (આજેય નથી).
જરા આગળ જઈએ એટલે આવે ઠાકુરદ્વાર રોડ. ડાબી બાજુ જઈએ તો ચર્ની રોડ સ્ટેશન પાસે પહોંચાય. જમણી બાજુએ જઈએ તો વાંકેચૂંકે રસ્તે ઠેઠ ભુલેશ્વર સુધી પહોંચી જવાય. રસ્તામાં ઠાકુરદ્વાર રોડ અને ફણસવાડીના નાકા પર જવાહર મૅન્શન અને વિનય હેલ્થ હોમ આવે અને ત્યાંથી પસાર થઈએ તો ઉસળ-મિસળ ખાધા વગર કેમ ચાલે? પણ અત્યારે લૉકડાઉનમાં બધું બંધ એટલે એ તરફ નહીં જઈએ. બધું હતું એવું થઈ જાય પછી જઈશું. અત્યારે ગિરગામ રોડ પર આગળ વધી કેળેવાડી જઈએ. હવે સત્તાવાર નામ છે ડૉ. ભાલેરાવ માર્ગ. સાંકડી, વાંકીચૂંકી ગલી છે પણ આપણે અંદર જવું છે, કારણ કે અંદર મુંબઈ મરાઠી ગ્રંથસંગ્રહાલયની મોટી ઇમારત આવેલી છે. સાથે મજાનું થિયેટર પણ છે. પહેલાં આ બન્ને નહોતાં. હતું એક નાનકડું મકાન અને નાનું ઓપન ઍર થિયેટર. ત્યાં મરાઠી નાટકો તો ભજવાતાં જ, પણ સાથોસાથ સંસ્કૃત નાટકો પણ ભજવાતાં અને એ જોવા પણ સારી સંખ્યામાં પ્રેક્ષકો આવતા. સંસ્કૃત નાટક રાતે આઠ વાગ્યે શરૂ થાય અને સવારે દોઢ-બે વાગ્યે માંડ પૂરું થાય. શાકુન્તલ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિક, ઉત્તરરામ ચરિત જેવાં નાટકો દાજી ભાટવડેકર અને તેમના સાથીઓ ભજવતા. નાટક આટલાં લાંબાં ચાલતાં એનું મુખ્ય કારણ એ કે નાટકમાં આવતા શ્લોકો રાગદારી સાથે ગવાતા. એક-એક શ્લોક પાંચ-સાત-દસ મિનિટ સુધી ગવાતો રહે. મરાઠી રંગભૂમિની પરંપરા પ્રમાણે બધાં નટ-નટી સારાં ગાયક પણ હોય જ. પ્રેક્ષકો એ શ્લોકગાન માણે, વન્સમોર પણ આપે! શ્લોક ગવાય એટલો વખત બાકીનાં પાત્રો સ્થિર ઊભાં રહે. આ દાજી ભાટવડેકર એટલે એક જમાનાનું મરાઠી નાટક અને ફિલ્મજગતમાં ગાજતું નામ. અસ્સલ મુંબઈકર. ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે બે પાંદડે સુખી કુટુંબમાં જન્મ. દર અગિયારસે ઘરમાં ભજન-કીર્તન થાય. એ સાંભળીને સંગીત અને અભિનયમાં રસ પડ્યો. આઠ વરસની ઉંમરથી કીર્તન કરવા લાગ્યા. દાજી મૂળ જૂની મરાઠી રંગભૂમિના પહાડી અવાજવાળા અભિનેતા. પણ પછી એ રંગભૂમિનું રૂપ બદલાયું નવાં નાટકોમાં ગીત-સંગીત નહીં, સંવાદો બોલવાની રીત જુદી. એટલે દાજીએ સંસ્કૃત નાટકો ભજવવાનું શરૂ કર્યું. ૧૯૫૦થી ૧૯૮૦ દરમ્યાન ભજવેલાં સંસ્કૃત નાટકોની ભજવણી તેઓ મરાઠી સંગીત નાટકની પદ્ધતિ પ્રમાણે કરતા. સંસ્કૃત નાટકોની ભજવણી વિષે મહાનિબંધ લખીને તેમણે મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. નાટ્યક્ષેત્રે કરેલી કામગીરી માટે ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા. ૧૯૬૫માં તેમને સંગીત નાટક અકાદમી (દિલ્હી)નો ‘રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક’ એનાયત થયો. ૨૦૦૬ના ડિસેમ્બરની ૨૬મી તારીખે દાજીનું અવસાન થયું.
સારે નસીબે આ લખનારને દાજીનો અભિનય મરાઠી અને સંસ્કૃત બન્ને નાટકોમાં જોવાની તક મળી. જિંદગીનાં પહેલાં ત્રીસેક વરસ ગિરગામ વિસ્તારમાં ગાળ્યાં એટલે ખાસ કશી મહેનત વગર મરાઠી ભાષા આવડી ગઈ (પહેલાં ગુજરાતી અર્થમાં અને પછી મરાઠી અર્થમાં). દત્તાત્રેય ગાડગ‌િળ અને પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા જેવા પંડિત શિક્ષકો પાસે સ્કૂલ અને કૉલેજમાં મળીને બારેક વરસ સંસ્કૃત ભણવાની તક મળી. એટલે સંસ્કૃત નાટકો સમજાય અને ગમે પણ. બીજાં બે વ્યવહારિક કારણ. એક તો આ કેળેવાડીનું થિયેટર ઘરેથી ચાલીને જવાય એટલા અંતરે. બીજું, આજની જેમ એ વખતે પણ ગુજરાતી નાટકો કરતાં મરાઠી નાટકોની ટિકિટના ભાવ ઘણા ઓછા. એટલે એ વધુ પોસાય. ખેર, હવે તો એ બધું સ્વપ્નમાંની વાસવદત્તા જેવું બની ગયું છે. નથી એ ઓપન ઍર થિયેટર રહ્યું, નથી એવાં સંસ્કૃત નાટકો ભજવાતાં, નથી એ ગિરગામમાં રહેવાનું. સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં રાજા ઉદયન મિત્ર વિદૂષકને એક પ્રશ્ન પૂછે છે: એવી કઈ વસ્તુ છે કે જે માણસને સુખ અને દુ:ખ બન્ને આપે છે. રાજા એ વખતે પ્રેમમાં ગળાડૂબ છે એટલે એ વિદૂષક પાસેથી ‘પ્રેમ’ એવા જવાબની આશા રાખે છે. પણ વિદૂષક સાવ અણધાર્યો જવાબ આપે છે: ‘લાડુ.’ રાજા પૂછે છે, ‘એ વળી કઈ રીતે?’ ‘લાડુ જો મારી થાળીમાં હોય તો મને સુખ આપે, પણ જો બીજાની થાળીમાં હોય તો મને દુ:ખ આપે.’ સ્મરણોનું પણ પ્રેમ જેવું જ છે. એ સુખ અને દુ:ખ બન્ને આપે છે આ લખનારને. હવે ગિરગામ રોડ પર આગળ વધીશું, પણ આવતા શનિવારે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 08:31 PM IST | Mumbai Desk | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK