રાજ્યનું નામ રોશન કરનાર ચાર ગુજરાતીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાશે
ત્રીજી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ૪ ગુજરાતીઓનું ખાસ સન્માન કરશે અને તેમણે કરેલાં કાર્યો બદલ બિરદાવશે સાથે આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે તેમની પાસેથી જાણકારી મેળવશે, જેમાં કચ્છની પાંચ હજાર વર્ષ પુરાણી અજરખ-બાટિક હસ્તકલાના જાણતલ ઇસ્માઇલ ખત્રી, જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પૉલ (અમદાવાદ), રખડતું ભટકતું જીવન ગુજારતા વંચિતોનાં ઉદ્ધારક મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર) તેમ જ પુંસરીને શહેરોને પણ ટક્કર મારે એવું ગામ બનાવી દેશને પ્રથમ મૉડલ વિલેજ આપનાર હિમાંશુ પટેલ (સાબરકાંઠા)નો સમાવેશ થાય છે.
હિમાંશુ પટેલ (સાબરકાંઠા) સ્માર્ટ વિલેજના સર્જક - પુંસરીને દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર સરપંચ. વર્ષ ૨૦૦૬માં નાની વયે સરપંચ બની ૨૦૧૩માં ભારતની નંબર વન ગ્રામપંચાયત બનાવી.
વંચિતોનાં વણોતર મિત્તલ પટેલ - મહેસાણાના શંખલપુર ગામમાં ઊછરેલી ખેડૂત પુત્રી અહીંની જ શાળામાં ભણીગણી અને કલેક્ટર બનવાના સપના સાથે અમદાવાદ આવી. અભ્યાસના ભાગરૂપે અચાનક લોકસેવાના ક્ષેત્રમાં પહોંચી ગયાં. દેહવિક્રયના વમળમાં ખૂંપેલી વાડિયાની અનેક મહિલાઓને
ઉગારી. રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવી ચૂક્યાં છે.
પાણીદાર માણસ બિપ્લબ કેતન પૉલ - ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરી છે. તેમણે વિકસાવેલી ભૂંગરું નામની ટેક્નિક પાણી રીચાર્જ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. દુષ્કાળની સ્થિતિમાં પણ ભૂંગરું દ્વારા સંગ્રહિત પાણીથી ખેડૂતો વર્ષે બે પાક મેળવે છે હસ્તકલાનો જાણતલ કચ્છી માડુ ઇસ્માઇલ ખત્રી - ભુજથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા અજરખપુર ગામના અભણ એવા ઇસ્માઇલ ખત્રી ૫૦૦૦ વર્ષ જૂની અજરખ-બાટિક હસ્તકલા આજે પણ રખોપી રહ્યા છે. અજરખ-બાટિક હસ્તકલાને વિશ્વમાં ફેલાવનાર ઇસ્માઇલ ખત્રીને યુકેની ડી મૉન્ટફોર્ટ યુનિવર્સિટીએ ૨૦૦૨માં ખાસ લંડન બોલાવી ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા.