ચેમ્બુરની જનતા માર્કેટમાં લાગેલી આગમાં પેપરના વેપારીઓને લાખોનું નુકસાન
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુર-ઈસ્ટમાં સ્ટેશનને અડીને આવેલી જનતા માર્કેટમાં ગુરુવારે પરોઢિયે સાડાપાંચ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૮થી ૧૦ ગોડાઉન બળી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
સ્ટેશન પાસે આવેલી જનતા માર્કેટમાં ખાસ કરીને ઝેરોક્સ અને પેપર સ્ટેશનરીનાં દુકાન-કમ-ગોડાઉન છે. માર્કેટમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ૭ ફાયર-એન્જિન અને ૭ વૉટર-ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. અંદાજે ૧૦૦૦ સ્ક્વેરફુટમાં આવેલાં ૮થી ૧૦ ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. પેપર, ઇલેક્ટ્રિક વાયરિંગ ફર્નિચર બધું જ જ્વલનશીલ હોવાથી આગ થોડી વારમાં ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ સવારે સાડાસાત વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્ભાગ્યે આગમાં કોઈને ઈજા નથી થઈ. પ્રાથમિક તપાસ મુજબ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.