રાહ જુઓ, પીઓકેમાંથી જ ભારત સાથે રહેવાની માગ ઊઠશે : રાજનાથ
રાજનાથ સિંહ
કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે પહેલાં કાશ્મીરમાં પાકિસ્તાન અને આઇએસઆઇએસના ઝંડા લાગતા હતા પરંતુ હવે ત્રિરંગો લહેરાય છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની વર્ચ્યુઅલ જમ્મુ સમૂહ સંવાદ રૅલીને સંબોધિત કરતાં રાજનાથ સિંહે કહ્યું કે અગાઉ કાશ્મીરમાં ‘આઝાદી’ના નારા લગાવાતા હતા. આર્ટિકલ ૩૭૦નો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે હવે કાશ્મીર ખીણમાં ફક્ત ત્રિરંગો જ દેખાય છે.
તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવેલા સરપંચ અજય પંડિતાની હત્યાની નિંદા કરતા રાજનાથ સિંહે કહ્યું કે કાયર હુમલામાં માર્યા ગયેલા સરપંચ અજય પંડિતાને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું બારામુલ્લાના મોહમ્મદ મકબુલ શેરવાનીને પણ શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે ૧૯૪૭માં ખીણમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પીઓકે અંગે રાજનાથ સિંહે કહ્યું કે થોડાક દિવસ રાહ જુઓ, પીઓકેથી તરફથી જ માગ ઊઠશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાનના કબજામાં નહીં.
ચીન સાથે સરહદ વિવાદ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ‘ભારત અને ચીન વચ્ચે જે પણ વિવાદ ઊભો થયો છે, અત્યારે સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે.
ચીને પણ એ ઇચ્છા વ્યક્ત કરી છે કે આનું સમાધાન ચર્ચા દ્વારા થવું જોઈએ. અમારી કોશિશ પણ એ છે કે સૈન્ય અને ડિપ્લોમેટિક સ્તર પર વાતચીત દ્વારા તેનું સમાધાન નીકળે.