સુશાંત કેસ CBIને સોંપવાના નિર્ણયથી રાજ્યની આઘાડી સરકારને લાગ્યો આંચકો
સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાના નિર્ણયથી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને આંચકો લાગ્યો છે. રાજ્ય સરકાર કહે છે કે મુંબઈ પોલીસ સુશાંત કેસ હૅન્ડલ કરવા માટે સક્ષમ છે. કેસની તપાસ સીબીઆઇને સોંપવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારી હોવાનું કેન્દ્ર સરકારે ગઈ કાલે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું. એ વખતે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પાછળનું સત્ય પ્રકાશમાં આવવું જોઈએ.
સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુનો કેસ સીબીઆઇને સોંપવા માટે અનેક ઠેકાણેથી દબાણ આવતું હોવા છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન અનિલ દેશમુખ કહે છે કે એ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની જરૂર નથી, એ કામ માટે મુંબઈ પોલીસ સક્ષમ છે. બીજેપીના મુંબઈ એકમના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજ્ય સરકારના ભૂતપૂર્વ પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે સુશાંત કેસમાં નિર્દોષ વ્યક્તિઓને પૂછપરછ કરવામાં આવે છે અને શંકાસ્પદોને કંઈ પૂછવામાં આવતું નથી. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી કરનારા નેતાઓમાં બીજેપીના રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી અને બીજેપીના મુઝફ્ફરપુરના સંસદસભ્ય અજય નિષાદનો સમાવેશ છે. બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવાના નિર્ણય પછી રાજ્ય સરકાર મુંબઈ પોલીસને સ્વતંત્ર રીતે કામ કરવા દે એવી હું આશા રાખું છું.
દરમ્યાન રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ નવાબ મલિકે જણાવ્યું હતું કે બિહાર સરકારે એના અધિકાર ક્ષેત્રમાં ન આવતા કેસની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરીને અન્ય રાજ્યની કામગીરીમાં દખલ કરી છે.
સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવાના આરોપસર બિહારમાં સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવામાં આવ્યો છે. એ FIR મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી સાથે રિયા ચક્રવર્તીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. એ અરજી બાબતે ત્રણ દિવસમાં જવાબો ફાઇલ કરવા મહારાષ્ટ્ર અને બિહારની રાજ્ય સરકારો તથા સુશાંતના પિતા કે. કે. સિંહને અદાલતે સૂચના આપી છે.
ADVERTISEMENT
દિશા સલિયાન કેસની તપાસ માટે પોલીસે લોકોને માહિતી પૂરી પાડવા અપીલ કરી
મુંબઇ : (પીટીઆઇ) મુંબઇ પોલીસે લોકો પાસે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયાનની આત્મહત્યાને લગતી કોઇપણ માહિતી કે પુરાવા ઉપલબ્ધ હોય, તો કેસની સઘન તપાસ માટે તે પોલીસને સુપરત કરવાની અપીલ કરી હતી. પોલીસના મતે, 28 વર્ષીય દિશાએ 8 જૂનના રોજ મુંબઇના મલાડ વિસ્તારની બહુમાળી ઇમારત પરથ છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. 14મી જૂનના રોજ 34 વર્ષીય અભિનેતા સુશાંત બાન્દ્રા સ્થિત તેના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માલવાણી પોલીસે સાલિયાનના કેસમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યો હતો, તેમ જણાવતાં અધિકારીએ ઉમેર્યું હતું કે, તેમણે દિશાના મોતની તપાસ હાથ ધરી છે. દિશા સાલિયાનના મોત મામલે સોશ્યલ મીડીયા, અખબારો અને ટીવી ચેનલોમાં વિવિધ પ્રકારના અહેવાલો વહેતા થયા છે. પોલીસ આ કેસ મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને તે અહેવાલોની ખરાઇ કરવા ઇચ્છે છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. આથી, પોલીસે ઊંડી તપાસ કરવા માટે લોકોને કેસ સંબંધિત પુરાવા કે માહિતી હોય, તો તે રજૂ કરવાની અપીલ કરી છે.