સાધુઓની હત્યામાં ગાજેલા કાસા પોલીસ-સ્ટેશનનો ચાર્જ મહિલા ઑફિસરને સોંપાયો
સિદ્ધવા જાયભાયે
બે સાધુ અને એક કાર-ડ્રાઇવરની ટોળાએ કરેલી સામૂહિક હત્યા માટે ગાજેલા પાલઘર પોલીસમાં બે દિવસથી ફેરફાર થઈ રહ્યા છે. ગૃહ રાજ્ય પ્રધાન અનિલ દેશમુખે બુધવારે ઘટનાસ્થળ ગડચિંચલેની મુલાકાત લીધા બાદ અહીંના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (એસપી) ગૌરવ સિંહને રજા પર મોકલીને તેમના સ્થાને ઍડિશનલ એસપી વિક્રાંત દેશમુખને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઘટના કાસા પોલીસ-સ્ટેશનની હદમાં બની હોવાથી અહીંના તમામ સ્ટાફને ટ્રાન્સફર કરાયો હતો. એની સામે ગઈ કાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સબ-ઇન્સ્પેક્ટર સિદ્ધવા જાયભાયેને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બે હિન્દુ સાધુ અને એક કાર-ડ્રાઇવરની સામૂહિક હત્યા આદિવાસીઓના ટોળાએ કર્યાની ઘટના પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાં ત્રણ અઠવાડિયાં પહેલાં બની હતી. પોલીસની હાજરીમાં આ હત્યા થવાના વિડિયો વાઇરલ થતાં ભારતભરમાં ચકચાર જગાવનારા આ બનાવને પગલે પાલઘર પોલીસ દ્વારા કાસા પોલીસ-સ્ટેશનના આખા સ્ટાફને બદલી નખાયો હતો અને સાત પોલીસ-અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા.
હત્યાની ઘટનાનાં ત્રણ અઠવાડિયાં બાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગડચિંચલે ગામની મુલાકાત લીધી હતી.