કરોડોના અનાજનાં કાળાબજાર કરવાના કેસમાં થાણેના કચ્છી વેપારીની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
સરકારી રૅશનિંગના અનાજને ગેરકાયદે રીતે વેચી મારવાના ૨૦૧૫ના બહુચર્ચિત કૌભાંડમાં થાણેના કચ્છી વેપારીની નાશિક ગ્રામીણ પોલીસે ધરપકડ કરી હતી. અંદાજે ૧૭૮ કરોડ રૂપિયાના અનાજનાં ગેરકાયદે કાળાબજાર કરવાના કેસમાં ફરાર સુરેશ ઠક્કરની નાશિક ગ્રામીણ વાડીવાર પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં અનેક આરોપીઓ હજી ફરાર હોઈ તેની શોધ ચાલી રહી છે.
કરોડો રૂપિયાના અનાજનાં કાળાબજાર કરવાના કેસમાં પોલીસથી નાસતા ફરી રહેલા સુરેશ વીરજી ઠક્કરની વાડીવાર પોલીસે સોમવારે રાતે થાણેથી ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય ૧૩ આરોપીની શોધ પોલીસ ચલાવી રહી છે.
ADVERTISEMENT
વાડીવાર પોલીસ સ્ટેશનના અધિકારીએ આ અંગે ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સંગઠિત ગુનાખોરી કાયદો, જીવનજરૂરિયાત માલસામાન કાયદા હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૧થી ૨૦૧૫ દરમ્યાન નાશિકના અંબાડ અને નાશિકના સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો ભેગો કરીને તેનાં વિવિધ ઠેકાણે કાળાબજાર કરવામાં આવ્યાં હતાં. આરોપીઓએ ગેરકાયદે રીતે ૧૭૮ કરોડ રૂપિયાનાં અનાજનાં કાળાબજાર કર્યાં હતાં. આરોપીઓએ અનાજને સ્ટોર કરવા માટે ખોટી કંપનીઓ પણ ઊભી કરી હતી અને બાદમાં તેને વિવિધ જગ્યાએ મોકલવામાં આવતું હતું.’ સરકારી અનાજને ગેરકાયદે રીતે સ્ટોર કરીને તેનાં કાળાબજાર કરવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં ઠક્કર સહિત ૧૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને અગાઉ યોગેશ નટવરલાલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં જામીન પર મુક્ત છે.
આ પણ વાંચો : બનાવટી કરન્સી કેસમાં ભિવંડીમાં બે વ્યક્તિની ધરપકડ
આરોપીઓ દ્વારા ફ્લોર મિલને ખોટાં બિલ આપવામાં આવતાં હતાં. આ કેસમાં અત્યાર સુધી ૬૦૦ જણની જુબાની નોંધવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.