ગુજરાતનો કોઈ જવાન કેમ શહીદ થતો નથી?
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરહદ પર શહીદ થતા જવાનો બાબતે કરેલા વિવાદાસ્પદ બયાનની સર્વત્ર ટીકા શરૂ થઈ છે. અખિલેશ યાદવે ગઈ કાલે જણાવ્યું હતું કે સરહદ પર અન્ય રાજ્યોના જવાનો શહીદ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના જવાનો કેમ શહીદ થતા નથી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા વિચિત્ર બયાનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે છૂપો પૂર્વગ્રહ પ્રગટ કરતાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે શહીદ થતા જવાનોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારત સહિત તમામ પ્રાંતોના વતની સૈનિકોનો સમાવેશ છે; પરંતુ ગુજરાતનો વતની કોઈ જવાન કેમ શહીદ થતો નથી?
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરની અશાંતિ, પાકિસ્તાન તરફથી સરહદ પર ગોળીબાર અને આતંકવાદીઓ તથા નક્સલવાદીઓ સાથે લશ્કર અને સલામતી-દળોની અથડામણોમાં જવાનોનાં મૃત્યુની ઘટનાઓ વચ્ચે અખિલેશ યાદવનું આ બયાન ટીકાપાત્ર બન્યું છે. લશ્કરી જવાનો તથા અન્ય સંગઠનોએ ટીકા કરતાં જણાવ્યું હતું કે સૈનિકોની વીરગતિને પણ રાજકારણનો વિષય બનાવવાનો આ પ્રયત્ન શરમજનક છે.