દિલ્હી-લખનઉ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન હશે
તેજસ ટ્રેન
પાટનગર નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન દેશની પહેલવહેલી પ્રાઇવેટ ટ્રેન હશે.
તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે રેલવેના પ્રાઇવેટાઇઝેશનનો સંકેત કર્યો હતો. જોકે રેલવે કર્મચારીઓનું યુનિયન રેલવેના પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરવાનું છે. છતાં સરકારે આ દિશામાં પહેલું કદમ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. આગામી ૧૦૦ દિવસમાં બે પ્રાઇવેટ ટ્રેન દોડશે.
આ ટ્રેન કલાકના બસો કિલોમીટરની સ્પીડ પર દોડશે. ટ્રેનના દરેક કમ્પાર્ટમેન્ટને એરોપ્લેન જેવી સુવિધાથી સજ્જ કરાયો છે. દરેક કમ્પાર્ટમેન્ટ બનાવવા પાછળ રેલવે તંત્રને સવાત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ટ્રેન એવી પહેલી ટ્રેન હશે જેના દરવાજા ઑટોમૅટિક હશે એટલે કે ટ્રેન ચાલુ થતાં જ દરવાજા આપોઆપ બંધ થઈ જશે એટલે ચાલતી ટ્રેને કોઈ ઉતારુ દરવાજે ડોકાઈ નહીં શકે. હાલ આવી સુવિધા મેટ્રો ટ્રેનમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સીબીઆઇનો સપાટો : દેશભરનાં 110 ઠેકાણાંઓ પર દરોડા
ટ્રેન ઊભી રહે ત્યારે જ દરવાજા ખૂલશે. ઊગતા સૂર્યનાં કિરણો જેવા રંગે આ ટ્રેનને રંગવામાં આવી છે. આ ટ્રેન હાલ ઉત્તર પ્રદેશના આનંદનગર સ્ટેશને ઊભી છે. ટૂંક સમયમાં એ જાહેર જનતાને જોવા માટે ખુલ્લી મુકાશે.