તનુશ્રી દત્તાના વકીલ સામે જાતીય સતામણીનો કેસ
નીતિન સાતપુતે
એક મહિલા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ અભિનેત્રી તનુશ્રી દત્તાના વકીલ નીતિન સાતપુતે વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી પોલીસે શુક્રવારે આપી હતી.
સાતપુતે તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ કરેલા ઉત્પીડનના કેસમાં દત્તાના વકીલ છે.
ADVERTISEMENT
૪૭ વર્ષીય પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે સાતપુતેએ પીડિતાના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાના આશયથી તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
ખેરવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે બાળકો માટેનો બગીચો બાંધવા મામલે તેને બીજી નવેમ્બરના રોજ સાતપુતે સાથે બોલાચાલી થઈ હતી. સાતપુતેએ પીડિતાને ફોન કર્યો હતો અને તેને ગાળો આપી હતી, જેને પગલે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.
ત્યાર બાદ પીડિતાને સોમવારે કમિશન ખાતે એક મીટિંગ માટે બોલાવાઈ હતી અને ઑફિસમાંથી બહાર નીકળતી વખતે સાતપુતે તેની નજીક આવ્યો હતો અને અભદ્ર ભાષાપ્રયોગ કર્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪-એ (૧) (૪) અને ૫૦૯ હેઠળ ગુનો નોંધ્યો હતો.