રામગોપાલ વર્મા સામે પગલાં લો : બીજેપી
બીજેપીએ મુંબઈ પોલીસને બોલીવુડના ડિરેક્ટર રામ ગોપાલ વર્માની એ ટ્વીટની ખરાઇ તપાસવા કહ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તેની કોવિડ-19 ટેસ્ટ પોઝીટીવ આવી છે પછીથી તેમણે ટ્વિટ બદલ માફી માંગતા કહ્યું હતું કે તેણે નહીં પણ તેના ડોક્ટરે આ મજાક કરી હતી તેમની સાથે. પહેલી એપ્રિલ (એપ્રિલ ફુલ્સ ડે)ના દિવસે શેર કરેલી આ માહિતી જો મજાક હોય તો પોલીસને ડિરેક્ટર સામે પગલાં લેવા બીજેપીએ જણાવ્યું હતું.
બીજેપીના જનરલ સેક્રેટરી વિવેકાનંદ ગુપ્તાએ આખા દેશમાં જે રોગને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે તેના માટે આવી અસંવેદનશીલ રીતે મજાક કરવા બદલ રામ ગોપાલ વર્માની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે કાયદામાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે કોવિડના પેશન્ટનું નામ જાહેર થવું ન જોઈએ તો રામ ગોપાલ વર્મા આ બાબતે સોશ્યલ મીડિયા પર મજાક કઈ રીતે કરી શકે તેમનું વર્તન ઘણું જ અસંવેદનશીલ છે.
ગૃહ પ્રધાન અનિલ દેશમુખે 31મી માર્ચે એક નિવેદન દ્વારા શહેરના નાગરિકોને પહેલી એપ્રિલે કોવિડ-19ના મુદ્દા પર મજાક ન બનાવવા સખત શબ્દોમાં ચેતવણી આપતાં આઈ.ટી. એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત સોમવારે અફવાઓ ફેલાવનારા એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી અને શહેરના કેટલાક વિસ્તારોમાં લશ્કર પણ તહેનાત કરવામાં આવ્યું હતું.
ગુપ્તાએ રામ ગોપાલ વર્મા વિરુદ્ધ સખત પગલાં લેવાનું જણાવતાં કહ્યું હતું કે કાયદાની સામે બધાં જ સરખા છે. પોલીસે વર્મા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવી જ જોઈએ.