આપ કોર્પોરેટરની અગાશી પરથી મળ્યો મોતનો સામાન
દિલ્હી હિંસાના મામલે આમ આદમી પાર્ટી (આપ)ના કૉર્પોરેટર તાહિર હુસેન પર આરોપ લાગી રહ્યા છે. હિંસામાં માર્યા ગયેલા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માના પરિવારજનોએ કથિત રીતે તાહિર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તાહિર પર બીજો એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે ૨૫ ફેબ્રુઆરીએ તેમના ચાંદબાગ સ્થિત ઘરમાંથી અસામાજિક તત્ત્વોએ લોકો પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બૉમ્બ ફેંક્યાં હતાં.
જોકે તાહિર હુસેને તમામ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તેમના ઘરના ધાબા પરથી મોટી સંખ્યામાં ઈંટ-પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ મળી આવ્યાં છે જેનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેમના ધાબા પર મોટી માત્રામાં પથ્થરો પડેલા છે અને પ્લાસ્ટિકનાં કેરેટ્સમાં પેટ્રોલ બૉમ્બ્સ અને પથ્થરો અને ઈંટોના ટુકડાઓ ભરેલાં છે.
ADVERTISEMENT
તાહિર હુસેનનું કહેવું છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેઓ ઘરે હતા જ નહીં તેમ જ આ ષડ્યંત્ર બીજેપીના નેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ મને અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે.