પુરુષ બનશે બળદ અને સ્ત્રી કૂતરી? સ્વામીનું આવું નિવેદન???
તસવીર સૌજન્ય યુટ્યૂબ, www.bhujmandir.org
જ્યાં દેશમાં એક તરફ મહિલાઓના સમાનતાના અધિકારોને સુપ્રીમ કોર્ટ માન આપી રહ્યું છે તો બીજી તરફ આવા નિવેદનો દ્વારા જાણે દેશની મહિલાઓનું અપમાન કરી રહ્યા છે...
ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના કપડાં ઉતરાવી માસિક ધર્મની તપાસ કરી હોવાથી હોબાળો મચ્યો હતો. અને વિદ્યાર્થિનીઓ પણ હોસ્ટેલની સંચાલિકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ વિવાદ ધીમે ધીમે વકરી રહ્યો છે. એવામાં કચ્છના સંત ગણાંતાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપનું નિવેદન આવતાં સ્થિતિ વણસી છે અને લોકોમાં રોષ ભરાયો છે...
ADVERTISEMENT
કચ્છના સ્વામિનારાયણ મંદિરમાં સોમવારે ભક્તોનું સંબોધન કરતાં સ્વામી કૃષ્ણસ્વરૂપે અત્યંત વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, "એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઇ જાઓ એટલે બીજો જન્મ બળદનો જ છે. તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો અવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાંને કડક લાગે."
સ્વામી કૃષ્ણ સ્વરૂપ આટલું બોલતાં અટકી ગયા નથી તેમણે ઉમેર્યું કે "હવે આ ટકોર કરવી કે ન કરવી. 10 વર્ષ પછી ટકોર કરી છે." એટલું જ નહીં... સ્વામીએ પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું કે, "મને પણ ક્યારેક સંકોચ થાય કે શું ટકોર ટકોર કરવી. પરંતું ન કરીએ તો ક્યાં જઇએ. માટે ચેતો. રસોઇ બનાવતાં શીખી જાઓ, નહીં તો નરકમાં જવા માટે તૈયાર રહો."
જણાવીએ કે તાજેતરમાં ભુજ સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં બનેલી ઘટના બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. જેમાં તેમની ઉપર કલમ 384, 355, 506, 509, 114 અંતર્ગત ગુનો નોંધાયો છે.