નિધન પહેલા સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને કહ્યું કાલે આવી 1 રૂપિયો લઈ જજો
પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હાર્ટ એટેક બાદ સુષ્મા સ્વરાજે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નિધનના એક કલાક પહેલા જ તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી લેવા માટે બોલાવ્યા હતા. સાલ્વેએ હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતના પ્રતિનિધિત્વ માટે 1 રૂપિયાની ફી લીધી હતી.
હરીશ સાલ્વેએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, નિધનના એક કલાક પહેલા જ તેમણે સુષ્મા સ્વરાજ સાથે વાતચીત કરી હતી. આ વિશે વાત કરતા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મે રાત્રે 8:50 વાગ્યે સુષ્મા સ્વરાજ સાથે વાત કરી હતી આ એક ભાવનાત્મક વાત છે. સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને મળવા માટે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે મારે તમને તમારો એક રૂપિયો આપવો છે. બુધવારે સાંજે હરીશ સાલ્વે સુષ્મા સ્વરાજને મળે તે પહેલા જ મંગળવાર રાત્રે સુષ્મા સ્વરાજ ચીર નિંદ્રામાં પોઢી ગયા.
ADVERTISEMENT
આ પણ વાંચો: આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જાધવની માર્ચ 2016માં જાસૂસીના આરોપ મામલે ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધી કુલભૂષણ જાધવને મળવા માટે પરવાનગી આપવામાં આવી નથી. કુલભૂષણને મોતની સજા ફટકાર્યા પછી ભારતે આ મામલો ઈન્ટરનેશનલ અદાલતમાં મામલો ઉઠાવ્યો હતો. જેમાં ભારતને સફળતા મળી હતી. ઈન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી હતી, તેની પાછળ સુષ્મા સ્વરાજે મહત્વનો ફાળો ભજવ્યો હતો. હરીશ સાલ્વે કોર્ટમાં કુલભૂષણના પક્ષમાં પ્રતિનિધિત્વ કર્યું હતું જેની ફીસ 1 રૂપિયો લેવા માટે સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને કહ્યું હતું.