રિયા ચક્રવર્તી મુંબઈની ભાયખલા જેલમાં
ફાઈલ તસ્વીર
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરીને કોર્ટની સમક્ષ હાજર કરી હતી. કોર્ટે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયાના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય નથી રાખી. જેલના નિયમ મુજબ સાંજે જેલમાં કેદીઓની ગણતરી બાદ નવા કેદીને લેવામાં આવતા નથી, તેથી આખી રાત તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હતી.
આજે સવારે રિયાને મુંબઈની ભાયખલા જેલમાં ખસેડવામાં આવી હતી. આજે રિયા સેશન્સ કોર્ટમાં જામિન માટે અરજી કરી શકે છે. મુંબઈમાં મહિલાઓ માટે ફક્ત એક જ ભાયખલા જેલ છે. આ જેલમાં શીના બોરા મર્ડર કેસની ઈન્દ્રાણી મુખરજી અને કોરેગાવ-ભીમા કેસની કાર્યકર સુધા ભરદ્વાજ છે.
ADVERTISEMENT
એનસીબીએ જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું રિયા ચક્રવર્તી કેસમાં આરોપી છે. જો જામીન તે છૂટી જાય છે તો તેની અસર કેસ પર પડી શકે છે. રિયાએ કેટલીક મહત્વની જાણકારી આપી છે જેની પુરતી તપાસ થાય એ બહુ જ જરૂરી છે. રિયાના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, એનસીબીના અધિકારી અનુસાર રિયાએ તપાસમાં સહયોગ આપ્યો છે. એનસીબીએ રિમાન્ડની માગણી કરી નથી કેમકે તેમણે પૂછપરછ પૂરી કરી લીધી છે. રિયા પોતે ડ્રગ્સ લીધા નથી કે ન તો તેણે કોઇને માટે તેની સગવડ કરી છે તો તેને જામીન મળવા જ જોઇએ અને જરૂર પડ્યે તે તપાસમાં સહયોગ કરશે.