સુરત: BJPના વિધાનસભ્ય મુકેશ પટેલ ખોવાયા છે
BJP વિધાનસભ્ય મુકેશ પટેલ ગુમ થયાનાં બૅનરો સુરતમાં સુદામા ચોકમાં લગાવવામાં આવ્યા
સુરતના ઓલપાડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મુકેશ પટેલ ગુમ થયાનાં બૅનરો ગઈ કાલે સુરત શહેરના સુદામા ચોક અને મોટા વરાછા વિસ્તારના મતદારોએ લગાવ્યાં હતાં મતદારોનું કહેવું હતું કે ‘૨૦૧૭માં ઇલેક્શન પૂરું થયા પછી મુકેશભાઈ ક્યારેય ક્યાંય જોવા મળ્યા નથી. તેમનો કૉન્ટૅક્ટ કરવામાં આવે તો પણ તેઓ મતવિસ્તાર પર ધ્યાન નથી આપતા અને તેમની મદદ માગવામાં આવે તો પણ તે ટાળી દે છે. મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા આઠ મહિના દરમ્યાન ઓછામાં ઓછા પાંચ હજાર મોબાઇલ ફોન ચોરાયા છે, જેના માટે પોલીસને રજૂઆત કરવાનું મુકેશભાઈને કહેવામાં આવ્યું તો પણ મુકેશભાઈ ગલ્લાંતલ્લાં કરવા માંડતાં નાછૂટકે આ બૅનરો મતદારોએ લગાવવા પડ્યાં હતાં. બૅનરો લગાવવાની બાબતમાં પહેલ કરનારા નરેશ વીરાણી નામના મતદારે કહ્યું હતું કે ‘મતવિસ્તારના કામ કરવાનો જો સમય તેમની પાસે ન હોય તો અમારી પાસે પણ હવે તેમના માટે સમય નથી.’
આ પણ વાંચો : અમદાવાદ: યુવાન-યુવતીઓના કૌશલ્ય વિકાસ માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ
ADVERTISEMENT
નરેશ વીરાણીએ જ અન્ય લોકોને તૈયાર કર્યા અને ઓલપાડમાં પાંચસોથી વધારે બૅનરો લગાવીને મુકેશ પટેલ ગુમ થયા છે એવો પ્રચાર કર્યો. પોતાના માટે લાગેલાં આ બૅનરો માટે વિધાનસભ્ય મુકેશ પટેલે કહ્યું હતું કે ‘રાજકારણમાં આ બધું ચાલ્યા કરે. આવી વાતોને બાંધવાની ન હોય. એક વખત ત્યાં જઈ આવીશ એટલે બધા પાછા હતા એવા રાજી થઈ જશે.’