વિજય માલ્યાને ઝટકો : સુપ્રીમકોર્ટની આદેશની સમીક્ષાની ના
વિજય માલ્યા
ભાગેડુ બિઝનેસમૅન વિજય માલ્યાએ તેને અદાલતની અવજ્ઞાનો દોષિત ઠેરવતા સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા કરવાની કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે સોમવારે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ આદેશનો ભંગ કરીને તેનાં સંતાનોના ખાતામાં ૪૦ મિલ્યન ડૉલર ટ્રાન્સફર કરતાં સુપ્રીમ કોર્ટેના મે, ૨૦૧૭ના રોજ તેને અદાલતની અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો.
જસ્ટિસ યુ. યુ. લલિતના વડપણ હેઠળની સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે અમને આ અરજીમાં યોગ્યતા જણાઈ નથી. અદાલતે આ કેસના તમામ પક્ષોની સુનાવણી હાથ ધર્યા બાદ તેનો આદેશ ૨૭ ઑગસ્ટના રોજ મુકરર કર્યો હતો.
ADVERTISEMENT
માલ્યા તેની બિનકાર્યરત કિંગફિશર એરલાઇન્સને સંડોવતા ૯૦૦૦ કરોડ રૂપિયાના બૅન્ક લોન ડિફોલ્ટ કેસનો આરોપી છે અને અત્યારે તે બ્રિટનમાં છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ની આગેવાની હેઠળના બૅન્કોના સમૂહે સુપ્રીમ કોર્ટને અરજી કરીને દાવો કર્યો હતો કે માલ્યાએ બ્રિટિશ ફર્મ ડિયાજિયો પાસેથી મળેલી ૪૦ મિલ્યન ડૉલરની રકમને તેના સંતાનોનાં ખાતાંમાં જમા કરાવીને વિવિધ અદાલતી આદેશોનો ‘સરિયામ ભંગ’ કર્યો હતો, જેને પગલે સુપ્રીમ કોર્ટે ૯ મે, ૨૦૧૭ના રોજ તેનો આદેશ જારી કર્યો હતો.