અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ
રામ મંદિર
(જી.એન.એસ.) અયોધ્યા મામલામાં દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચનો નિર્ણય આવી ગયો છે. આ મામલામાં તમામ રિવ્યુ અરજીને ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં ૧૮ રિવ્યુ પિટિશનની અરજી પર પાંચ જજની બેન્ચે સુનાવણી કરી અને તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ મામલે ૯ અરજી પક્ષકારની તરફથી અને ૯ અરજી અન્ય અરજદારો તરફથી દાખલ કરવામાં આવી હતી.
જ્યારે આ અરજીઓની મેરિટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ નિર્મોહી અખાડાએ રિવ્યુ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ એની અરજીમાં જણાવ્યું હતું કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી થઈ નથી. કોર્ટ આ મામલે સ્પષ્ટ આદેશ આપે, પરંતુ હવે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી ૧૮ રિવ્યુ પિટિશનની અરજી પર પાંચ જજની બેન્ચ દ્વારા સુનાવણી ચાલી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની સાથે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને સંજીવ ખન્ના સુનાવણી કરી રહ્યા છે. આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો છે.
પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધું છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં ૯ નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચે સર્વાનુમતિથી ૨.૭૭ એકર વિવાદિત જમીન રામ લલ્લાને આપી આપી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ મંદિર બનાવવા માટે પાંચ એકર જમીનની ફાળવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.