મહારાષ્ટ્રના રાજકારણ પર આજે સુપ્રીમ કોર્ટની 11:30 વાગે સુનવણી
સુપ્રીમ કોર્ટ (PC : Jagran)
મહારાષ્ટ્રમાં શનિવારે આવેલા રાજકીય ભુકંપ બાદ આજે NCP, કોંગ્રેસ અને શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે 11.30 વાગે સુનાવણી કરશે. શનિવારે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે મુખ્યપ્રધાન અને અજીત પવારે ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. જેને NCP, કોંગ્રેસ અને શિવસેનાએ પડકારી છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનવણી હાથ ધરશે.
મહારાષ્ટ્રમાં શનિવારે આવ્યો રાજકીય ભુકંપ
મહારાષ્ટ્રના રાજકારણમાં રાતોરાત થયેલાં પરિવર્તનના કારણે રાજકીય પક્ષોમાં હડકંપ મચ્યો છે. શનિવારે વહેલી સવારે દેવન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM પદની શપથ લીધા છે. આ વાતને પચાવવી શિવસેના, કૉંગ્રેસ અને NCP પાર્ટી માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. એટલે આ ત્રણેય પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચીને સંયુક્ત રીતે અરજી દાખલ કરી છે. જેની સુનાવણી 24 નવેમ્બરે સવારે 11:30 કલાકે રાખવામાં આવી છે.
ભાજપ પાસે પુરતા ધારાસભ્યો નથી : શરદ પવાર
NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું, ભાજપ પાસે પૂરતા ધારાસભ્યો નથી. અમારો વિજય નિશ્ચિત છે. અજીત પવારે ધારાસભ્યોને ગેરમાર્ગે દોર્યા છે. વહેલી સવાર સુધી તેમના આ નિર્ણય વિશે ખબર નથી. આ સમાચાર સાંભળીને હું જ આશ્ચર્યમાં છું. પક્ષના ધારાસભ્ય દળની બેઠક બોલાવાશે, તેમાં પક્ષ દ્વારા અજીત પવાર સામે પગલાં લેવાશે. તેમજ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ફ્લોર ટેસ્ટમાં ભાજપને હંફાવશે.
શિવસેનાએ પણ ભાજપને આડે હાથે લીધું
શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ શરદ પવારની વાતને સમર્થન કરતા ભાજપને આડે હાથ લીધુ હતુ. મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. ભાજપે મહારાષ્ટ્રમાં 'ફર્જિકલ સ્ટ્રાઈક' કરી હોવાનું જણાવ્યું. વળી, રાતના અંધારામાં નિર્ણય લેવા બદલ ભાજપની ઝાટકણી કાઢી પોતે ત્રણ પક્ષોએ જે પણ નિર્ણય લીધા તે મીડિયા સમક્ષ લીધા હોવાનું કહ્યું.
કોંગ્રેસે આ પત્રકાર પરિષદથી દૂર રહી પક્ષની અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે કહ્યું, ભાજપ હંમેશા આ પ્રકારની રાજનીતી કરતી આવી છે. ભાજપે એનસીપીમાં ફૂટ પાડી સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો છે. જે સફળ નહીં થાય. કોંગ્રેસના ધારાસભ્યો એકજૂઠ છે અને ફ્લોર ટેસ્ટમાં ભાજપને ટક્કર આપશે.