કાશ્મીર મુદ્દે SCએ ચાર અઠવાડિયાંનો સમય આપ્યો, 14 નવેમ્બરે થશે સુનાવણી
રંજન ગોગોઈ
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ પર કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મંગળવારે સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારને તમામ અરજીઓનો જવાબ આપવા માટે ૨૮ દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલા અંગે ૧૪ નવેમ્બરે સુનાવણી કરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી આ મામલા અંગે કોઈ નવી અરજી નોંધવામાં આવશે નહીં. મહત્ત્વનું છે કે ૩૧ ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે અને લદ્દાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
આ પણ વાંચો : મધર ડેરીની જાહેરાત : પોતાનું વાસણ લઈને આવો અને લીટરે 4 રૂપિયા સસ્તું દૂધ મેળવો
ADVERTISEMENT
સોમવારે સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓને મુખ્ય કેસ સાથે જોડી દેવામાં આવી છે. જેના પર મંગળવારે સુનાવણી થશે. આ અગાઉ ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને બે અઠવાડિયાંમાં કાશ્મીરની હાલત પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે સોગંદનામું દાખલ કરીને જણાવો કે રાજ્યમાં હાલત ક્યાં સુધીમાં સામાન્ય થશે. કોર્ટે સરકારને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય જનજીવન સુનિશ્ચિત કરો. પરંતુ આ અંગે રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ મામલો ઘણો ગંભીર છે.