જ્યારે ઓ. પી. નૈયર ૨૫૦૦ સ્ક્વેર ફીટનો ફ્લૅટ છોડીને વિરારમાં ૩૫૦ સ્ક્વેર ફીટના ફ્લૅટમાં રહેવા ગયા
વો જબ યાદ આએ - રજની મહેતા
ભૂતકાળની સ્મૃતિઓની ફોટોફ્રેમ પર જામેલી ધૂળને સાફ કરીએ ત્યારે આનંદ અને વિષાદની મિશ્ર અનુભૂતિઓ થાય છે. સુંવાળી અને ખરબચડી સ્મૃતિઓને પંપાળવા માધુરી જોગળેકર તેમની વાત આગળ વધારે છે...
‘આજ સુધી મેં નૈયરસાહેબની દરેક ઇચ્છાને માન આપી તેમનું કહ્યું કર્યું હતું, પણ ઘર છોડીને મારી સાથે રહેવાની તેમની વાતે મને વિચારતી કરી મૂકી. એ ઉપરાંત તેમનો નર્ણિય હતો કે કંઈ પણ લીધા વગર તેઓ ઘર છોડશે. મેં તેમને કહ્યું કે ધારો કે હું સાથે પણ આવું તો જઈશું ક્યાં? તેમનો જવાબ હતો, મને ખબર નથી; પણ હવે મારે તારી સાથે રહેવું છે, તું જ એની વ્યવસ્થા કર. મારે માટે જીવનનો એક મહત્વનો નર્ણિય લેવાની ઘડી આવી ગઈ હતી. તેમને છોડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. મને ખબર હતી કે મારા વિના તે ભાંગી પડશે. મને મારા ભવિષ્યની નહીં, તેમના વર્તમાનની વધુ ચિંતા હતી. ૧૯૭૬માં મારી અને તેમની મુલાકાત થઈ એ સમયે અમારી ઉંમરમાં મોટો તફાવત હતો. આટલાં વર્ષોમાં તેમનો વ્યવહાર કભી શોલા કભી શબનમ જેવો હોવા છતાં તેમને તે જેવા છે એ સ્વરૂપમાં સ્વીકારીને મેં કોઈ પણ અપેક્ષા વગર સાથ આપ્યો હતો.’
જીવનમાં એક મુકામ એવો આવે છે જ્યાંથી પાછા ફરવું અશક્ય હોય છે. સાથે આગળ જવાનો ડર પણ એટલો જ હોય છે. એ સમયની કશ્મકશ મનુષ્યને દ્વિધામાં મૂકે ત્યારે તેને એક જ વસ્તુ યાદ આવે છે. એ છે ભાગ્ય અને ભાગ્ય સમયને આધીન હોય છે. એમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતી, તેનો સમય ખરાબ હોય છે.
માધુરી જોગળેકર નર્મિાણ થયેલી પરિસ્થિતિને સ્વીકારે છે અને તેમની વાતને આગળ વધારે છે...
‘આ વાત ૧૯૮૯ની છે. તેર વર્ષનો અમારો આ સંબંધ મારે માટે એક અમૂલ્ય જણસ હતી. આગળ શું થશે એનો ભય નહોતો, કારણ કે મારે મન તેમની લાગણીઓનું જતન અને તેમને સંભાળી લેવાની પ્રબળ ઇચ્છાઓનું જ મહત્વ હતું. એટલે જ મેં નર્ણિય લીધો કે જીવનના આ તબક્કે હું તેમને છોડી ન શકું. ઑફિસમાંથી મેં હોમ-લોન લીધી અને વિરારમાં એક રૂમ-કિચનનો ફ્લૅટ લીધો. દુનિયાને આની પાછળનું લૉજિક નહીં સમજાય. મારા આ પગલાને દરેકે અવ્યવહારુ અને ઉતાવળિયું ઠેરવ્યું, પણ એ લોકોને હું દરેક વાત કેવી રીતે સમજાવી શકું?’
અને આમ ઓ. પી. નૈયર ૨૫૦૦ સ્ક્વેર ફીટના વિશાળ ફ્લૅટને છોડી વિરારમાં ૩૫૦ સ્ક્વેર ફીટના એક રૂમ-કિચનન ફ્લૅટમાં રહેવા આવ્યા જેની માલિકી હતી માધુરી જોગળેકરની. આને કહેવાય સમયની બલિહારી, કર્મનાં બંધન.
કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિટે ના રે ભાઈ
ઝરા સમજો ઇસકી સચ્ચાઈ રે
ઇસ દુનિયા મેં ભાગ્ય કે આગે ચલે ના કિસીકા ઉપાય
કાગઝ હો તો સબ કોઈ બાંચે, કરમ ના બાંચા જાય
ઇક દિન ઇસી કિસ્મત કે કારન
બન મેં ગએ થે રઘુરાઈ રે
કરમ કા લેખ મિટે ના રે ભાઈ
૧૯૫૭ની ફિલ્મ ‘ચંડીપૂજા’ માટે અજિત મર્ચન્ટના સંગીતમાં ગીતકાર અને ગાયક-કવિ પ્રદીપજીનું આ ગીત અહીં એટલા માટે યાદ આવ્યું કે સમય સમય બલવાન હૈ, નહીં મનુજ બલવાન.
એક લૉન્ગ પ્લે રેકૉર્ડ વાગતી હોય અને એક પછી એક યાદોની ધૂન વાતાવરણમાં ગુંજતી હોય એમ માધુરી જોગળેકર તેમનાં સંભારણાં આગળ વધારે છે...
‘અમે વિરાર રહેવા ગયાં એ જ અઠવાડિયામાં નૈયર સાહેબને ત્રણ ફિલ્મોના સંગીત માટેના કૉન્ટ્રૅક્ટ મળ્યા. એ ફિલ્મો હતી ‘ઝીદ’, ‘નિય’ અને ‘જાને મહેબૂબ’. તેઓ એકદમ ખુશ હતા. મને કહે, તું અને તારી જગ્યા મારે માટે નસીબદાર છે. તેમને ખુશ જોઈ મને પણ આનંદ થતો કે મેં જે પગલું ભર્યું એ યોગ્ય હતું.
‘એ દિવસોમાં હું સવારે ૬ વાગ્યે ઊઠી તેમના માટે ભોજન બનાવી ઑફિસ જવા નીકળતી. સાંજે આવ્યા બાદ ફરી વાર તેમને માટે તેમનું મનપસંદ ભોજન બનાવતી. બટાટાવડા, આલુ-મટર, ગોબી પરાઠા, ચિકન-ફ્રાય અને ચાઇનીઝ ડિશો તેમની પસંદગીની વાનગીઓ હતી. વ્હિસ્કીમાં બ્લૅક લેબલ તેમની પહેલી પસંદ હતી, પણ દોઢ અથવા બે પેગથી વધુ શરાબ તેમણે કદી પીધી નથી.
‘મારી ગેરહાજરીમાં તેઓ વાંચતા, ટીવી જોતા, મુલાકાતીઓને મળતા. પણ એક વાતની મને નવાઈ લાગતી. ત્રણ નવી ફિલ્મોના સંગીતનો કૉન્ટ્રૅક્ટ મળ્યો ત્યારે નવી ધૂનો બનાવી એ બાદ તેઓ હાર્મોનિયમને હાથ પણ ન લગાડતા. હું ઘણી વાર કહેતી, નવી ધૂનો બનાવો, સંગીત સાંભળો; પણ મારી વાત માનતા નહીં. સાંજ પડે તે મારી રાહ જોતા બેઠા હોય. તે ખુશ હતા એટલે હું પણ ખુશ હતી. એક જ વાક્યમાં કહું તો He was my soulmate.’
માધુરી જોગળેકર અને ઓ. પી. નૈયરને એ સમયે ક્યાં ખબર હતી કે નિયતિનો હજી એક વળાંક તેમની રાહ જોઈને છુપાઈને બેઠો હતો.