પુણેની હૉસ્પિટલમાં કોરોનાના દરદી બાળકો માટે ઊભો કરાયો સમર કૅમ્પનો માહોલ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પુણે શહેરના પરાં વિસ્તારમાં આવેલી સિમ્બાયોસિસ હૉસ્પિટલે શુક્રવારે જણાવ્યું હતું કે ત્યાં કોવિડ-19ની સારવાર માટે દાખલ કરાયેલાં ૨૫ બાળકો બીમારીને કારણે હતાશ ન થઈ જાય અને ‘સમર કૅમ્પ’ જેવા માહોલ સાથે તેમનો જુસ્સો જળવાઈ રહે એ માટે હૉસ્પિટલે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
આ બાળકો પાંચ મહિનાથી લઈને ૧૪ વર્ષનાં છે અને તેઓ પૈકીનાં ઘણાં બાળકોને તેમનાં માતા-પિતા સાથે દાખલ કરવામાં આવ્યાં હોવાનું સિમ્બાયોસિસ હૉસ્પિટલના સીઈઓ ડૉ. વિજય નટરાજને જણાવ્યું હતું.
‘જ્યારે આ બાળકો અને તેમનાં માતા-પિતા ઇન્ફેક્શનને કારણે અહીં આવ્યાં ત્યારે તેઓ સૌ ભારે હતાશા, આઘાત અને તણાવમાં સરી પડ્યાં હતાં. બાળકોને હતાશાથી દૂર રાખવા માટે અને તેમનું મન આનંદિત બાબતો તરફ વાળવા માટે અમે ડ્રૉઇંગ, ડાન્સિંગ તથા મ્યુઝિકલ ચૅર, સિન્ગિંગ જેવી ફન ગેમ્સ તથા કસરત જેવી પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરી છે’ અએમ તેમણે જણાવ્યું હતું.
ડૉ. નટરાજને ઉમેર્યું હતું કે ‘બાળકો કાર્ટૂન જોઈ શકે એ માટે અમે તેમને માટે ટીવી પણ લગાવ્યાં છે. તેમને માટે એક ખાસ ટીમ કામ કરી રહી છે.’
હૉસ્પિટલમાં બાળકો માટેની પ્રવૃત્તિઓનું સહનિર્દેશન કરી રહેલા વેંકટેશ ડોંગલીકરે જણાવ્યું હતું કે ‘અમે તેમને માટે સમર કૅમ્પ પ્રકારનો માહોલ ઊભો કર્યો છે, ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે, એટલું જ નહીં, બાળકોનો ઉત્સાહ વધારવા માટે ડૉક્ટરો અને નર્સ પણ બાળકોને મદદ કરવામાં ભાગ લે છે.’`