સુબ્રહ્મણ્યમ સ્વામીએ પીએમને પત્ર પાઠવી રાષ્ટ્રગીતના શબ્દો બદલવાની માગણી
ફાઈલ તસવીર
બીજેપીના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે પીએમ મોદીને પત્ર પાઠવ્યો છે. સ્વામીએ એ પત્રને ટ્વિટર પર પણ શૅર કર્યો છે. તેમણે પત્રમાં કહ્યું છે કે ‘જન ગણ મન...’ને સંવિધાન સભામાં સદનનો મત માનીને સ્વીકારવામાં આવ્યું હતું.
તેમણે આગળ લખ્યું છે કે ૧૯૪૯ની ૨૬ નવેમ્બરે સંવિધાન સભાના છેલ્લા દિવસે અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે મતદાન વિના જ ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારી લીધું હતું. જોકે તેમણે માન્યું હતું કે ભવિષ્યમાં સંસદ આ શબ્દોમાં ફેરફાર કરી શકે છે. એ સમયે સામાન્ય સંમતિ જરૂરી હતી, કારણ કે ૧૯૧૨માં કૉન્ગ્રેસના અધિવેશનમાં બ્રિટિશ રાજાના સ્વાગતમાં ગાવામાં આવ્યું હોવાથી એ મુદ્દે ચર્ચા થવી જોઈએ, એમ ઘણા સભ્યોનું માનવું હતું. સ્વામીએ પીએમને સંસદમાં પ્રસ્તાવ લાવીને રાષ્ટ્રગીતની ધૂન બદલ્યા વિના એના શબ્દો બદલવામાં આવે એવી અપીલ કરી છે. સાથે જ તેમણે સુભાષચંદ્ર બોઝે કરેલા ફેરફારને સ્વીકારી શકાય, એવું સૂચન પણ કર્યું છે.