ભાઈંદર ક્વૉરન્ટીન સેન્ટરમાં રેપના મામલામાં કડક કાર્યવાહી : સરકાર
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર ક્વૉરન્ટીન સેન્ટર બળાત્કાર કેસ મામલે પોલીસ કડક કાર્યવાહી કરશે અને મહારાષ્ટ્રમાં મહિલા વિરુદ્ધના અત્યાચારો સાંખી નહીં લેવાય, તેમ રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે જણાવ્યું હતું.
રાજ્યની વિધાન પરિષદનાં નાયબ અધ્યક્ષા નીલમ ગોર્હેએ આ બનાવમાં કાર્યવાહીની માગણી કર્યા બાદ દેશમુખે ટિપ્પણી કરી હતી. ‘થાણે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે. નીલમ ગોર્હેજી, પોલીસ ટૂંક સમયમાં જ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ક્યાંય પણ મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો સાંખી નહીં લેવાય’ તેમ પ્રધાને ટ્વીટ કરી હતી. જૂન મહિનામાં થાણે જિલ્લાના ભાઈંદરમાં આવેલા કોવિડ-19 ક્વૉરન્ટીન સેન્ટરમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવા બદલ સેન્ટરના ૨૭ વર્ષીય એટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ૨૦ વર્ષની પીડિતાએ નવઘર પોલીસ સ્ટેશનમાં ગત શનિવારે ફરિયાદ નોંધાવી બાદ આ બનાવ પ્રકાશમાં આવ્યો હોવાનું ઇન્સ્પેક્ટર સંપત પાટીલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘મહિલાએ જણાવ્યું હતું કે તે સેન્ટરમાં સંબંધીના એક વર્ષના બાળકની કાળજી લઈ રહી હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.’