Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ દિવસે મુંબઈના માથે વરસ્યું સોનેરી સળગતું મોત

એ દિવસે મુંબઈના માથે વરસ્યું સોનેરી સળગતું મોત

08 August, 2020 07:14 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

એ દિવસે મુંબઈના માથે વરસ્યું સોનેરી સળગતું મોત

ફોર્ટ સ્ટાઇકિન વિસ્ફોટ પહેલાં

ફોર્ટ સ્ટાઇકિન વિસ્ફોટ પહેલાં


તારીખ ૧૪. મહિનો એપ્રિલ. સાલ ૧૯૪૪. એ વખતનાં અખબારોની ભાષામાં કહીએ તો આવો કાળમુખો દિવસ મુંબઈ શહેરે અગાઉ ક્યારેય જોયો નહોતો. દિવસ ઊગેલો તો રોજ જેવો. હવામાં એપ્રિલનો અકળાવનારો ઉકળાટ હતો. દેશ અને દુનિયામાં સેકન્ડ વર્લ્ડ વૉરની ઝાળ હતી. રાબેતા મુજબ એ દિવસે પણ મુંબઈના લોકો પોતપોતાના કામે નીકળ્યા હતા. બપોરના સવાચાર વાગ્યા સુધી કશું જ નોંધપાત્ર બન્યું નહોતું, પણ સાડાચાર વાગ્યા સુધીમાં ૮૦૦ લોકો મોતના મોઢામાં ધકેલાઈ ગયા હતા. ત્રણ હજાર ઘવાયા હતા. ૮૦ હજાર લોકો ઘરબાર વગરના થઈને રસ્તા પર આવી ગયા હતા. આખા મુંબઈની ધરતી ધ્રૂજી ઊઠી હતી. ઠેઠ શિમલાની વેધશાળામાં એ ધ્રુજારી નોંધાઈ હતી. અને આ બધી ખુવારીનું કારણ? એક બ્રિટિશ સ્ટીમર, નામે ફોર્ટ સ્ટાઇકિન.

પણ વાંક સ્ટીમરનો કે એના ખલાસીઓનોય નહોતો. ૧૯૪૨ના જુલાઈની ૩૧મી તારીખે તો સ્ટીમરને પહેલી વાર પાણીમાં ઉતારાઈ હતી. એટલે એની ઉંમર બે વરસ કરતાંય ઓછી હતી. ફોર્ટ ક્લાસની ૧૯૮ કાર્ગો સ્ટીમર બ્રિટિશ નૌકા સૈન્ય માટે કૅનેડામાં બંધાઈ હતી અને એ જમાનાની બધી આધુનિક સગવડો ધરાવતી હતી. બંધાયા પછી તરત જ ગ્રેટ બ્રિટનના વૉર શિપિંગ ઍડ્નિસ્ટ્રેશનમાં જોડાઈ હતી અને લડાઈની કામગીરીના ભાગરૂપે એણે ઘણી મુસાફરી કરી હતી. ૧૯૪૪ના માર્ચની ૨૩મીએ એડનથી નીકળી ૩૦ માર્ચે સ્ટીમર કરાચી પહોંચી હતી (યાદ રહે, એ વખતે કરાચી હિન્દુસ્તાનમાં હતું). એના સામાનમાં હતો ૧૪૮૧ ટન ફ્લેર, રૉકેટ, બૉમ્બ, સુરંગ, ટૉર્પીડો વગેરે લડાઈનો સ્ફોટક સરંજામ. એ મુંબઈ ઉતારવાનો હતો. લાકડાનાં ૩૧ ખોખાંમાં સોનાની પાટો ભરી હતી. એક-એક પાટનું વજન લગભગ ૧૩ કિલો હતું! આ ઉપરાંત સ્ટીમર પર સુપરમરીન સ્પિટફાયર પ્રકારનાં ૧૨ વિમાન હતાં, ગ્લાઇડર્સ અને દારૂગોળો હતો. આમાંનો કેટલોક સામાન કરાચી ઉતારવાનો હતો. કરાચી પહોંચ્યા પછી સામાન હેમખેમ ઊતરી ગયો, પણ એને કારણે સ્ટીમરમાં જે જગ્યા ખાલી થઈ એ ભરવા એમાં કપાસની ૮૭૦૦ ગાંસડી ભરાઈ. આ ઉપરાંત માછલીનું ખાતર, ચોખા, લોઢાનો ભંગાર, લાકડાં વગેરે ભરાયાં. તોય ખાલી જગ્યા બચી. એટલે લુબ્રિકેટિંગ ઑઇલનાં ૧૦૦૦ પીપડાં લદાયાં. આવી જાતભાતની જ્વલનશીલ સામગ્રી લાદવા સામે સ્ટીમરના કૅપ્ટને વાંધો લીધો ત્યારે તેને ધમકાવવામાં આવ્યો કે ખબર નથી, અત્યારે વૉર-ટાઇમ ચાલે છે? જે ભરીએ એ મૂંગા-મૂંગા લઈ લો. પછી આવ્યાં ટર્પેન્ટાઇનનાં ૭૫૦ પીપડાં, પણ હવે તો હદ થાય છે કહીને કૅપ્ટને એ ચડાવવા ન દીધાં. સ્ટીમરે લંગર ઉપાડ્યું એ પહેલાં ખલાસીઓનું ધ્યાન ગયું કે લુબ્રિકેટિંગ ઑઇલનાં કેટલાંક પીપ કાણાં હતાં અને એમાંથી તેલ ઝમી રહ્યું હતું!



આવો મોતનો સામાન ભરીને આ સ્ટીમર નવમી એપ્રિલે કરાચીથી રવાના થઈ. કૅપ્ટનને જોખમનો પૂરેપૂરો ખ્યાલ હતો એટલે ફાયર ડ્રિલ વધારી દીધી. ૧૨ એપ્રિલે સ્ટીમર મુંબઈના વિક્ટોરિયા ડૉક ખાતે આવી પહોંચી. એ દિવસે ત્યાં બીજી ૧૩ સ્ટીમરો નાંગરેલી હતી. બાજુના પ્રિન્સેસ ડૉકમાં બીજી ૧૦ સ્ટીમર હતી. એક સ્ટીમર ડ્રાય ડૉકમાં હતી અને બીજી બે નજીકમાં દીવાલ સાથે બાંધેલી હતી, પણ સ્ટીમરમાંથી માલસામાન ઉતારવાની મંજૂરી બંદરના સત્તાવાળાઓ તરફથી મળી નહોતી એટલે માલ ઉતારવાનું કામ છેક ૧૪મી તારીખે સવારે શરૂ થયું. બપોરના બે વાગ્યે કેટલાક ખલાસીઓનું ધ્યાન ગયું કે બે નંબરના હોલ્ડમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. તાબડતોબ ખલાસીઓ અને બંદરના માણસોએ મળીને ૯૦૦ ટન જેટલું પાણી છાંટ્યું, પણ આગ બુઝાઈ નહીં. ધુમાડો એટલો બધો હતો કે આગ ચોક્કસપણે ક્યાં લાગી છે એ પણ જણાતું નહોતું. છતાં આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ રહ્યા. બંદર પરથી આવેલા નિષ્ણાતોએ પહેલી સલાહ એ આપી કે તાબડતોબ સ્ટીમરને બંદરથી બને એટલી દૂર લઈ જવી જોઈએ જેથી બીજી સ્ટીમરો અને બંદરને ઓછું નુકસાન થાય. પણ કૅપ્ટને કહ્યું કે આમ કરવું શક્ય નથી. કેમ? સ્ટીમર બારમી તારીખથી બારામાં પડી હતી. એના એન્જિનમાં સમારકામની જરૂર હતી. એટલે કૅપ્ટને એ કામ શરૂ કરાવ્યું હતું એટલે એન્જિન ચલાવી શકાય એમ નહોતું અને સ્ટીમરને ટગ કરીને (ખેંચીને) લઈ જતાં તો ઘણી વાર લાગે. આ સ્ટીમરમાં શું-શું ભર્યું છે એનો બંદરના અધિકારીઓને પૂરો ખ્યાલ નહોતો. સાધારણ રીતે જે જહાજમાં દારૂગોળો કે બીજી સ્ફોટક સામગ્રી હોય એનાપર લાલ રંગનો ઝંડો ફરકાવવાનો હોય છે જેથી દૂરથી પણ ખબર પડી જાય કે આ સ્ટીમરમાં જોખમી માલ છે, પણ બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે આ રીતે લાલ ઝંડો ફરકાવવાનું બંધ કરવામાં આવ્યું હતું; કારણ કે લાલ ઝંડો જોઈને તો દુશ્મન તરત એના પર હુમલો કરતા હતા. એટલે શરૂઆતમાં તો આગ બુઝાવવા માટે બંદર પરથી બે જ બંબા મોકલાયા. પછી જ્યારે સ્ટીમરમાં શુ ભર્યું છે એની ખબર પડી ત્યારે બને એટલી ઝડપથી બીજા આઠ બંબા આવી પહોંચ્યા. દરમ્યાન બીજો એક ઉપાય સૂચવાયો. આખેઆખી સ્ટીમરને દરિયાના પાણીમાં ડુબાડી દેવી. પણ પછી ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટીમર નાંગરેલી છે ત્યાં પાણી એટલું ઊંડું નથી કે આખેઆખી સ્ટીમર એમાં ડૂબી શકે. બીજી મુશ્કેલી એ હતી કે આવો નિર્ણય નેવીના ઉચ્ચ અધિકારીઓ જ લઈ શકે, કૅપ્ટન કે બંદરના અધિકારીઓ નહીં. પણ આવા બે અધિકારીઓનો ફોન પર સંપર્ક જ કરી શકાયો નહીં.


વળી કૅપ્ટનના અને બંદર પરના અધિકારીઓના અભિપ્રાય જુદા-જુદા હતા. કૅપ્ટન કોઈ પણ હિસાબે પોતાના જહાજને બચાવવા માગતો હતો. બંદર પરથી આવેલા અધિકારી ગમે તે ભોગે બંદરને બચાવવા માગતા હતા અને અગ્નિશમન દળના અધિકારીનો અભિપ્રાય હતો કે સ્ટીમર જ્યાં છે, જેમ છે એમ જ રહેવી જોઈએ જેથી આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ રાખી શકાય. પણ ત્રણેમાંથી હજી કોઈને એ વિચાર આવ્યો નહોતો કે જો વિસ્ફોટ થશે તો શું થશે. અત્યાર સુધીમાં એટલું પાણી રેડાયું હતું કે કપાસની સળગતી ગાંસડીઓ તરવા લાગી હતી અને આગ એટલી વીફરી હતી કે સ્ટીમર પર જમા થયેલું પાણી ઊકળવા લાગ્યું હતું. બળતી ગાંસડીઓ તરતી-તરતી જ્યાં દારૂગોળો ભર્યો હતો ત્યાં પહોંચી ગઈ.  સવાત્રણ વાગ્યે કેટલોક દારૂગોળો સળગવા લાગ્યો. એનો કાળો ધુમાડો ચોમેર ફેલાવા લાગ્યો. સળગતા દારૂગોળાને કારણે બળતી ગાંસડીઓ ઊંચે ઊડીને આસપાસ પડવા લાગી. બપોરે ૩:૫૦ વાગ્યે આગનો પ્રચંડ ભડકો ઊઠ્યો જે જહાજના કૂવાથંભ કરતાંય ઊંચો હતો. આ જોઈને કૅપ્ટને તરત જ બૂમ પાડીને બધા ખલાસીઓને સ્ટીમર છોડી દેવાનો હુકમ આપ્યો. તરત જ શિસ્તબદ્ધ રીતે લાઇન લગાવીને ખલાસીઓ ઊતરવા લાગ્યા. એ લાઇનમાં સૌથી છેલ્લે ઊભા હતા કૅપ્ટન નાઇસ્મિથ. પણ પછી તેમને થયું કે કોઈ ખલાસી સ્ટીમર પર રહી ગયો તો નથીને એની ખાતરી કરી લેવી જોઈએ. એટલે તેઓ પાછા ગયા. ખાતરી કરીને આવતા હતા ત્યાં જ ૪:૦૬ વાગ્યે ભયંકર વિસ્ફોટ થયો. કૅપ્ટનના દેહનો કોઈ અવશેષ પણ પછી હાથ આવ્યો નહીં. બંદર પરના અધિકારીઓ બળતું જહાજ છોડીને હવે બંદરને બચાવવા દોડ્યા. એ પછી બરાબર ૪:૩૩ વાગ્યે બીજો ભયંકર વિસ્ફોટ થયો. ઠેઠ બાર કિલોમીટર દૂરનાં મકાનોની બારીના કાચ પણ શેકેલા પાપડની જેમ ભાંગીને ભૂકો થઈ ગયા. સ્ટીમરના તો બે કટકા થઈ ગયા અને એનું સાબૂત રહેલું બૉઇલર ઊડીને અડધો માઇલ દૂર, કિનારા પર પડ્યું. દરિયાના પાણીમાં એટલાં તો મોટાં મોજાં ઊછળ્યાં કે એક સ્ટીમર ઊછળીને બંદરના ગોડાઉનના છાપરા પર જઈ પડી! બરોડા નામની સ્ટીમર ઊછળીને ધક્કાના બીજા છેડા પર પડી. પહેલો ધડાકો થયો એ જ ક્ષણે બંદર પરના ટાવરની ઘડિયાળ બંધ પડી ગઈ. એપ્રિલના બળબળતા ઉનાળામાં મુંબઈમાં ઠેર ઠેર સળગતી ગાંસડીઓનો, સોનાની પાટોનો, લુબ્રિકેટિંગ ઑઇલનાં પીપડાંનો વરસાદ વરસ્યો. કહો કે મોતનો વરસાદ વરસ્યો. આને કારણે બંદરની આસપાસ આવેલાં ઝૂંપડાં, નાનાં-મોટાં ઘરો, બીજી ઇમારતો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયાં. ફોર્ટ સ્ટાઇકિનની આજુબાજુ નાંગરેલી બીજી ૧૧ સ્ટીમર પણ જોતજોતામાં બળવા કે ડૂબવા લાગી. છતાં બંદર પરના અને અગ્નિશમન દળના માણસોએ આગ બુઝાવવાની મહેનત ચાલુ રાખી. બંદરના અને બૉમ્બે ફાયરબ્રિગેડના કેટલાય કર્મચારી એમાં બળીને રાખ થઈ ગયા. મુંબઈ શહેરના અનેક ભાગો આગમાં બળવા લાગ્યા. ગોદી નજીકનાં ગોદામોમાં ભરેલો બધો માલ બળીને ખાખ થઈ ગયો. બંદર પર અને શહેરમાં લાગેલી બધી આગ પૂરેપૂરી બુઝાવતાં ત્રણ દિવસ થયા અને પાંચ લાખ ટન જેટલો કાટમાળ ખસેડતાં આઠ હજાર મજૂરોને સાત મહિના લાગ્યા.

પહેલો ધડાકો થયો એ ભેગી જ લોકોની નાસભાગ શરૂ થઈ ગઈ. શું થયું છે, ક્યાં થયું છે એની કોઈને ખબર નહોતી. ઘણાએ માની લીધેલું કે અમેરિકાની પર્લ હાર્બરની જેમ જપાને મુંબઈના બંદર પર પણ હુમલો કર્યો છે. વિસ્ફોટ બંદર વિસ્તારમાં થયો હતો એટલે લોકો ત્યાંથી બને એટલા દૂર ભાગવા મહેનત કરતા હતા, પણ આકાશમાંથી વરસતી સોનાની પાટો અને કપાસની ગાંસડીઓ તેમનો જીવ લેશે એનો તો કોઈને ખ્યાલ નહોતો.


મુંબઈ શહેરના માથે મોત વરસ્યું હતું પણ બીજા દિવસના સવારનાં છાપાંઓએ ભલે પહેલે પાને, પણ કોઈ નાનકડા ખૂણામાં આ સમાચાર છાપ્યા હતા અને ક્રિમિયાના યુદ્ધમાં જર્મનોની હાર થઈ એ સમાચાર મોટા મથાળે છાપ્યા હતા. આમ કેમ? કારણ કે એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને દેશમાં કડક લશ્કરી સેન્સરશિપ લાગુ હતી એટલે સરકારે આપેલો નાનકડો અહેવાલ જ બધાં છાપાંએ છાપવો પડ્યો હતો. યુરોપ-અમેરિકાનાં છાપાંઓએ તો આ સમાચાર છાપ્યા જ નહોતા! ૧૫મી તારીખે જપાનની હકૂમત નીચેના રેડિયો સાઇગોને સમાચાર આપ્યા ત્યારે દુનિયાને આ ભયંકર ઘટનાની ખબર પડી! બ્રિટન-અમેરિકાનાં અખબારોને મે મહિનાના બીજા અઠવાડિયા પછી આ સમાચાર છાપવાની છૂટ મળી. ટાઇમ મૅગેઝિને છેક બાવીસ મેના અંકમાં આ ખબર છાપ્યા, પણ ત્યારેય ઘણા લોકો માટે તો આ સમાચાર નવા જ હતા. આ ઘટનાની તપાસ કરવા સરકારે સમિતિની નિમણૂક કરી પણ એનો અહેવાલ ક્યારેય જાહેર કર્યો નહીં. આ દુર્ઘટનામાં અગ્નિશામક દળના ૭૧ જવાનો માર્યા ગયા હતા. મુંબઈના અગ્નિશમન દળની ભાયખલામાં આવેલી વડી કચેરી ખાતે તેમના માનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું અને દર વર્ષે ૧૪ એપ્રિલને ‘નૅશનલ ફાયર સર્વિસ ડે’ તરીકે ઊજવવાનું શરૂ થયું.

પણ પેલો પાંચ લાખ ટન જેટલો કાટમાળ આઠ હજાર મજૂરોએ સાત મહિનાની મહેનત પછી ખસેડેલો ક્યાં? એ બધો કાટમાળ બૅકબેના દરિયામાં ઠલવાયો હતો. એ કાટમાળ પર જ પૂરણી કરી આજનો નરીમાન પૉઇન્ટનો ઝાકઝમાળ વિસ્તાર ઊભો થયો છે. રાખમાંથી ઊભું થઈને ફીનિક્સ પક્ષી નવા રૂપે જીવતું થાય છે એવી વાત ગ્રીક દંતકથામાં છે. મુંબઈ શહેર પણ આ ફીનિકસ પક્ષી જેવું છે. લડે છે, ઘવાય છે; પણ હારતું નથી. બળે છે, પણ પાછું નવા રૂપેરંગે ઊભું થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 07:14 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK