લૉકડાઉન બાબતની સ્વતંત્રતા રાજ્યોને અપાવાની શક્યતા
લૉકડાઉન-૪ પૂરું થયા બાદ પણ મુંબઈમાં દુકાનો, મૉલ્સ અને મલ્ટિાપ્લેક્સ બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે (તસવીર: સતેજ શિંદે)
૩૧ મેએ લૉકડાઉન-૪ની મુદત પૂરી થતી હોવાથી કેન્દ્ર સરકારે એકાદ-બે દિવસોમાં નવી નીતિ જાહેર કરવાની અનિવાર્યતા રહેશે. જોકે જૂન મહિનામાં લૉકડાઉનને વિદાય આપવા માટે પદ્ધતિ અને રીતરસમ નક્કી કરવા કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને વધુ સ્વતંત્રતા આપવાની શક્યતા છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કેટલાંક રાજ્યો પાસે સૂચનો માગ્યાં છે. કેન્દ્ર સરકાર આરોગ્ય (કોવિડ-૧૯) સંદર્ભે રાષ્ટ્રીય માર્ગદર્શક સૂચનાઓના પાલન અને રાષ્ટ્રીય સ્તરે નવા આદેશો હેઠળ બહાર પાડવામાં આવનારા નેગેટિવ લિસ્ટને આધીન રહીને નિયંત્રણો હટાવે એવી શક્યતા છે. નેગેટિવ લિસ્ટમાં જે બાબતોની છૂટ ન અપાઈ હોય, મનાઈ ફરમાવાઈ હોય એ બાબતોનો સમાવેશ રહેશે.
દુકાનો, મૉલ્સ, મલ્ટિપ્લેક્સિસ, સ્કૂલો, કૉલેજો, થિયેટર્સ અને જાહેર સમારંભો માટે છૂટ નહીં અપાય અને લૉકડાઉનના આગામી તબક્કામાં પણ એની છૂટ ન અપાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નૉન-રેડ ઝોન્સમાં નિયંત્રણો હળવાં કરવામાં આવશે. મુંબઈથી રવાના થનારી જૂજ ફ્લાઇટ્સનાં ઑપરેશન્સની છૂટ અપાઈ હોવાથી રાજ્યમાં વિમાન-વ્યવહાર પૂર્ણરૂપે સક્રિય કરવામાં નહીં આવે. નૉન-રેડ ઝોન્સમાં વ્યાપાર-ઉદ્યોગના એકમો સક્રિય થયા છે, પરંતુ વેપાર-ઉદ્યોગને પૂરક પ્રવૃત્તિઓને વેગ અપાયો નથી.
ADVERTISEMENT
અગાઉ વડા પ્રધાને રાજ્યોના મુખ્ય પ્રધાનો જોડે સંવાદ સાધ્યો હતો. હવે આગામી તબક્કા માટે રાજ્યો સાથે સમન્વય સાધીને આયોજનની જવાબદારી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો અખત્યાર સંભાળતા ગૃહ મંત્રાલયના પ્રધાન અમિત શાહને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લૉકડાઉનનો આગામી તબક્કો
વધુ આકરો નહીં રહેવાની શક્યતા દર્શાવતાં રાજ્યોને વધુ સત્તાઓ અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.