જમ્મુ-કાશ્મીર ઍરપોર્ટની સુરક્ષા હવે સીઆઇએસએફ કરશે
એરપોર્ટ
જમ્મુ-કાશ્મીર ઍરપોર્ટની સુરક્ષા હવે પછી સીઆઇએસએફ કરશે એવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંઘ આતંકવાદીઓ સાથે ભળેલા હતા એવી ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી અને દેવિન્દરની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના ગૃહ ખાતાએ જણાવ્યું હતું કે આ બન્ને એરપોર્ટ સંવેદનશીલ છે અને ઓછામાં ઓછા ૩૧ જાન્યુઆરી સુધી એની સુરક્ષા સીઆઇએસએફને સોંપી દેવી. રાજ્ય પોલીસને ત્યાંથી ખસેડી લેવી. હાલ રાજ્ય પોલીસને આ બન્ને અૅરપોર્ટ પર કોઈ જવાબદારી સોંપવી નહીં.
ADVERTISEMENT
અત્યાર અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આ જવાબદારી સંભાળતા હતા, પરંતુ બુધવારે દેવિન્દર સિંઘની કરાયેલી ધરપકડ પછી તત્કાળ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩૧ જાન્યુઆરી સુધી આ જવાબદારી સીઆઇએસએફને સોંપવી.
આ પણ વાંચો : સંઘનો આગામી એજન્ડા બે બાળકોનો કાયદો બનાવવોઃ મોહન ભાગવત
અત્રે એ યાદ રહે કે કેન્દ્રીય ગુપ્તચર સેવાને અને મિલિટરી ઇન્ટેલિજન્સને એવી બાતમી મળી હતી કે પ્રજાસત્તાક દિન પહેલાં આતંકવાદીઓ ઊરી જેવો કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. એવા સંજોગોમાં દેવિન્દર સિંઘના નેતૃત્વ હેઠળના રાજ્ય પોલીસ તંત્રને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સોંપી શકાય નહીં એવો સ્પષ્ટ નિર્ણય કરવામાં આવ્યો હતો.