રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક છે, પુરાવા હોવાનો શ્રીલંકાનો દાવો
પ્રતીકાત્મક તસવીર
પૌરાણિક કથા પ્રમાણે, હિન્દુ મહાકાવ્ય રામાયણમાં રાજા રાવણ ખલનાયક હતો. રામાયણ મુજબ, રાવણ ભગવાન રામના સમયમાં શ્રીલંકાનો શાસક હતો. રાવણ ભલે હિન્દુઓ માટે રાક્ષસ હોઈ શકે, પરંતુ તે શ્રીલંકામાં ચોક્કસપણે એક મહાન રાજા અને ઘણા શ્રીલંકાના લોકો માટે પ્રાયોગિક વિમાનચાલક છે. એટલે રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક હોવાના પૂરતા પુરાવા હોવાનો શ્રીલંકાએ દાવો કર્યો છે.
શ્રીલંકન સરકારે જાહેરાત પ્રસિદ્ધ કરીને દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ રાવણ સાથે જોડાયેલા દસ્તાવેજોને શૅર કરે. મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ એન્ડ એવિએશન તરફથી અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે, રાવણ સંબંધિત કોઈ દસ્તાવેજ કે પુસ્તક હોય તો સરકારને પૂરા પાડે જેની મદદથી રાવણ પર હાથ ધરવામાં આવી રહેલા રિસર્ચમાં મદદ મળે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની સરકાર રાવણ પ્રથમ વિમાનચાલક હતો તે અંગે લુપ્ત થયેલા ભવ્ય ઈતિહાસને દુનિયા સામે લાવવા માટે મહત્વાકાંક્ષી રિસર્ચ અભિયાન હાથ ધર્યું છે.
ADVERTISEMENT
શ્રીલંકન સરકારનું માનવું છે કે, રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક હતો. જેણે 5000 વર્ષ પહેલા વિમાન ઉડાવ્યું હતું. શ્રીલંકન નાગરિક ઉડ્ડયન ઓથોરિટી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પૌરાણિક સમયમાં વિમાન ઉડાડવા માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રીલંકન નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના વાઈસ પ્રેસિડન્ટ શશી દનાતુંગેએ એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેમની પાસે અકલ્પનીય તથ્યો છે જેનાથી પુરવાર થાય છે કે રાવણ વિશ્વનો પહેલો વિમાનચાલક હતો જેણે એક એરક્રાફ્ટ ઉડાડયું હતું. આ કોઈ પૌરાણિક કથા નથી. આ હકિકત છે. તેના પર ઊંડાણપૂર્વકનું રિસર્ચ થવું જોઈએ. આગામી પાંચ વર્ષમાં અમે તે સાબિત કરીને રહીશું.
નોંધનીય છે કે, ગયા વર્ષે શ્રીલંકામાં નાગરિક ઉડ્ડયન એક્સપર્ટ, ઈતિહાસકારો, પુરાતત્વવિદ, વૈજ્ઞાનિકોની એક કૉન્ફરન્સ યોજાઈ હતી. જે કૉન્ફરન્સના અંતે એવા તારણ પર આવ્યા હતા કે રાવણ 5,000 વર્ષ પહેલા વિમાન લઈને શ્રીલંકાથી ભારત ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા.
શ્રીલંકામાં હાલ પૌરાણિક લંકા વિશે જાણવાનો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશે તાજેતરમાં જ એક સેટેલાઇટ લૉન્ચ કર્યું છે જેનું નામ રાવણ આપવામાં આવ્યું છે. આ શ્રીલંકાનું પ્રથમ સ્પેસ મિશન છે.